ગુજરાત
News of Saturday, 9th January 2021

ઈકો સેન્સેટિવ ઝોન-SOU સત્તા મંડળ રદ કરવા માંગ : આદિવાસીઓ અનિશ્ચિત કાળ સુધી ધરણા પર ઉતર્યા

માંગો પુરી નહિ થાય ત્યાં સુધી ધરણા બંધ નહિ થાય : માંગ પુરી નહિ તો દેશભર માંથી આદિવાસીઓ અને આદીવાસી સંગઠનના આગેવાનો કેવડીયામાં આવશે

રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળની રચના કરી હતી. પછી સરકારે શુલપાણેશ્વર અભિયરણ વિસ્તારના નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવ્યા અને ખેડૂતોના 7/12 ના ઉતારામાં ઈકો સેન્સેટિવ ઝોનના નામની બીજા હકની કાચી એન્ટ્રી પડાતા વિરોધના સુર ઉઠ્યા હતા.જો કે હાલ સરકારે કાચી એન્ટ્રીઓ પડવાની ના પાડી છે અને જે એન્ટ્રીઓ પડી ગઈ છે એ રદ કરવાનો હુકમ કર્યો છે.

 આ તમામની વચ્ચે હવે ઈકો સેન્સેટિવ ઝોન અને SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ રદ કરવાની માંગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયા ખાતે ઈકો સેન્સિટિવ ઝોન તથા SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં આદિવાસીઓ અનિશ્ચિત કાળ સુધી ધરણા પર ઉતરી પડ્યા છે.

એક તરફ સરકારે કાચી એન્ટ્રીઓ રદ કરી છે ભાજપ નર્મદા જિલ્લાના આદિવાસીઓને સમજ આપી રહી છે તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજ ચૂંટણી પેહલા શરૂ થયેલુ આ આંદોલન ચૂંટણીના પરિણામો પર જરૂર અસર કરશે એવું લાગી રહ્યું છે.

 

ઈકો સેન્સિટિવ ઝોન-SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિના કન્વીનર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ઈકો સેન્સેટિવ ઝોન કાયદો અને રેવન્યુ રેકોર્ડમાં ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ પણ રદ કરવામાં આવે.ઈકો સેન્સિટિવ ઝોનના નામે પ્રવાસન વિકસાવવાની બાબતનો તથા કેવડિયાના 6 અને 12 ગામોને વિસ્થાપિત કરાઈ રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ.

જો સરકારનું પ્રતિનિધિ મંડળ અમારી સાથે વાતચીત કરવા આવશે તો અમે તૈયાર છે પણ જો અમારી માંગો પુરી નહિ થાય તો દેશભર માંથી આદિવાસીઓ અને આદીવાસી સંગઠનના આગેવાનો કેવડીયામાં આવશે અને અમને અમારી લડતમાં સાથ આપશે.જ્યાં સુધી અમારી માંગો પુરી નહિ થાય ત્યાં સુધી ધરણા બંધ નહિ થાય.

સમિતિના સહ કન્વીનર બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે સરકારે કહ્યુ છે કે ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રી રદ કરવાનું સૂચન આપ્યું છે પણ આ કાયદો તો કેન્દ્ર સરકારે પાસ કર્યો છે. આ એન્ટ્રી રદ કરવા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આપેલા હુકમની નકલ તથા ગુજરાત સરકારે નર્મદા કલેકટરને આપેલા હુકમની નકલ તથા નર્મદા કલેકટરે નાંદોદ, સાગબારા, ગરુડેશ્વર અને ડેડીયાપાડા મામલતદારોને એન્ટ્રી રદ કરવા કાયદેસરના હુકમની નકલ જો અમને નહિ આપે ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખીશું.કોર્ટ 31/12/2020 ના રોજ ફક્ત વેલચંડી ગામનોની જ એન્ટ્રી રદ કરવાનો હુકમ કર્યો છે બીજા ગામોની એન્ટ્રી રદ કરતો હુકમ નથી કર્યો.

(6:00 pm IST)