વડોદરાના કોર્પોરેશનમાં નોકરી કરતા દિવ્યાંગ કર્મચારીને અજાણ્યા વાહને હડફેરે લેતા કમકમાટીભર્યું મોત
વડોદરા: કોર્પોરેશનમાં નોકરી કરતા દિવ્યાંગ કર્મચારી નોકરીથી છૂટીને ઘરે જતા હતા.તે દરમિયાન પોલિટેકનિક પાસે અજાણ્યા વાહને તેમના થ્રી વ્હીલ સ્કૂટરને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થઇ હતી.સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ગોરવા રિફાઇનરીરોડ પર શક્તિ બંગ્લોઝમાં રહેતા ૫૩ વર્ષના દિવ્યાંગ ભરતભાઇ નગીનદાસ શાહ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે.આજે સાંજે તેઓ નોકરી થી છૂટીને પોતાના થ્રી વ્હીલ સ્કૂટર પર ઘરે જતા હતા.સાંજે છ વાગ્યે શાસ્ત્રી બ્રિજ પાસે અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ,સારવાર મળે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું.બનાવના પગલે સાંજે શાસ્ત્રી બ્રિજ પાસે ટ્રાફિકજામ થઇ ગયો હતો.ફતેગંજ પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.