સુરત: ધંધાની અદાવતમાં અગાઉ યુવાનની સોપારી આપી ઘાતકી હત્યાથી અરેરાટી
સુરત:સચિન નજીકના બોણંદ ગામમાંથી બે દિવસ અગાઉ જે યુવાનની હત્યા કરેલી લાશ મળી હતી તે યુવાન ગોડાદરા ના સિમેન્ટ વેપારીની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું .પોલીસ તપાસમાં તે પણ ખુલાસો થયો છે કે સિમેન્ટના વ્યવસાયની ધંધાકીય અદાવતમાં તેના હરીફે સોપારી આપી હત્યા કરાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સચિનના બોણંદ ગામના ખેતરમાંથી ગત બુધવારના રોજ એક યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી અને ધોબી ના માર્કાના આધારે પોલીસ મૃતકની ઓળખ કરવામાં સફળ રહી હતી. મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં ગોડાદરા વિસ્તારના માધવ નગરમાં રહેતો ૨૯ વર્ષીય લક્ષ્મણ રાધાકૃષ્ણ કશ્યપ હોવાનું જાણવા મળ્યું હતું . સિમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લક્ષ્મણને વતનમાં અને સુરતમાં બે યુવતી સાથે અફેર હોવાનું જાણવા મળતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.પરંતુ તેની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર ન હતું.