અમદાવાદનો મીઠાખળી અંડરપાસ 6 મહિના માટે થશે બંધ અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર
રેલતંત્ર દ્વારા માદલપુર બાદ મીઠાખળી અંડરપાસ સહિતના 16 અંડરપાસનું કામ હાથ ધરાશે
અમદાવાદ :રેલ વિકાસ નિગમ (આરવીએનએલ) દ્વારા અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાનું કામ ચાલતું હોવાથી હવે મીઠાખળી અંડરપાસના નવીનીકરણ કામગીરી હાથ ધરાશે. આગામી 15 દિવસમાં તેને ટ્રાફિકની અવરજવર માટે બંધ કરાશે. અંડરપાસનું કામ છ મહિના ચાલે તેવી શક્યતા છે.
રેલ વિકાસ નિગમ દ્વારા માદલપુર ગરનાળાનું લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરીને તેને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મુકાયો હતો. રેલવેના સત્તાવાળાઓએ અગાઉ 7 મીટર પહોળા આ ગરનાળાના બંને ગાળાને વધુ બે મીટર પહોળા કર્યા છે.
હાલમાં મીઠાખળી અંડરપાસ અપ-ડાઉન લાઇનમાં 12.25 મીટર પહોળો છે પરંતુ રેલવે તંત્રના નવીનીકરણના પ્રોજેકટ હેઠળ તેને અપ-ડાઉન લાઇનમાં છ-છ મીટર પહોળો કરાશે. રેલતંત્ર દ્વારા મીઠાખળી અંડરપાસને 18.3 મીટરનો અપ-ડાઉન લાઇનમાં પહોળો કરવાની ડિઝાઇન તૈયાર કરાઇ છે.
રેલવે સત્તાવાળાઓ અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માદલપુર બાદ મીઠાખળી અંડરપાસ સહિતના 16 અંડરપાસનું કામ હાથ ધરાશે.