ગુજરાત
News of Friday, 8th October 2021

દુનિયામાં લગભગ 40 મિલિયન લોકોને પેલિએટીવ કેર સારવારની જરૂર : WHO

9મી ઓક્ટોમ્બર: “વિશ્વ હોસપિસ” અને “પેલિએટીવ કેર દિવસ”

ગાંધીનગર: કેન્સર, શ્વાસની બિમારી, હ્યદય રોગ અને અસાધ્ય કિડનીને લગતા રોગ કે જેમાં સંપૂર્ણ સારવાર શક્ય ન હોય તેવા રોગમાં ખાસ પ્રકારની પેલિએટીવ કેર સારવાર આપવામાં આવે છે. જે ખાસ કરીને અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ માટે છે. આવા રોગમાં જરૂરી નથી કે દર્દી નજીકના ભવિષ્યમાં મૃત્યું પામે, એ લાબુ જીવી શકે છે પણ તકલીફોથી પીડાતા રહેતા હોય છે.

પેલીએટિવે કેર દ્વારા આવા દર્દીઓને તેમની શારીરિક, માનસિક તકલીફોમાંથી રાહત આપવામાં આવે છે. પેલિએટીવ કેર એ કોમ્પ્રેહેંસીવે કેન્સર કેર એટલે કે વ્યાપક કેન્સર કેરની અગત્યની સારવાર છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન પ્રમાણે દુનિયામાં લગભગ 40 મિલિયન લોકોને પેલિએટીવ કેરની સારવારની જરૂરત છે. હાલમાં ફકત 14% દર્દીઓને જ આ સારવાર ઉપલબ્ધ છે. ભારતમાં દર વર્ષે એક મિલિઅન કરતાં વધારે લોકોને કેન્સર થાય છે, જેમાંથી 2/3 દર્દીઓનું નિદાન એડવાન્સ સ્ટેજનું કેન્સર હોય છે. આ બધા જ દર્દીઓને પેલિએટીવ કેરની જરૂરિયાત પડે છે. પણ ફક્ત 2% દર્દી આ સારવારનો લાભ લઈ શકે છે.

પેલિએટિવ કેર વિશે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના પેલિએટીવ મેડિસીન વિભાગના વડા પ્રોફસર ડૉ. પ્રીતિ સંધવી આ સારવાર વિશે કહે છે કે, આ સારવારનો મુખ્ય ઉદેશ દર્દીને શારીરિક, માનસિક અને ભાવનાકીય તકલીફોમાંથી રાહત આપી તેમના જીવનની ગુણવત્તા વધારવાનો છે.

પેલિએટીવ કેર સારવારની વિશેષતાઓ

(1) કેન્સરના દર્દીઓમાં લગભગ 80 % થી વધારે દર્દીઓ , શ્વાસોશ્વાસની તકલીફ, ઊલટી ઊબકા, અશક્તિથી પીડાતા હોય છે અને આ દુખાવા માટે નાર્કોટીક દવાઓની જરૂર પડે છે. પેલીએટિવ કેર સ્પેશિયાલિસ્ટ નાર્કોટીક દવાઓ યોગ્ય પ્રમાણમાં આપી કેન્સરથી થતાં દુખાવામાં રાહત આપે છે.

(2) દર્દી, તેના અંતિમ ક્ષણ સુધીનું જીવન શક્ય તેટલું સક્રિય અને ઉત્સાહથી જીવી શકે તેની કાળજી રાખવામાં આવે છે.

(3) આ સારવારમાં “એડવાન્સ કેર પ્લાનિંગ” અને “એન્ડ ઓફ લાઇફ કેર” ની પૂરતી જાણકારી દર્દી તથા દર્દીના કુટુંબીજનોને સહાનુભૂતિપૂર્વક સમજાવવામાં આવે છે.

આ ઉપરાંત કુટુંબીજનોને બીરેવમેંટ સપોર્ટ એટલે કે દર્દીના મૃત્યુ પછી શોકમાંથી બહાર લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. દર્દીના કુટુંબીજનો આ પરિસ્થિતિનો સામનો કરી શકે અને જીવનની આ વાસ્તવિકતા જીરવી શકે તેવું માર્ગદર્શન આપવામાં આવે છે.

 

કેન્સર (34%), હ્રદય (38.5 %), લિવર, કિડન્ની કે ફેફસા (10.3 %) ના રોગના દર્દીઓ, ન્યૂરોસાયકોલોજીકલ રોગ જેવા કે પાર્કિન્સોનીઝમ, અલ્ઝેમર રોગના દર્દીઓ અને બાળકોમાં જન્મજાત રોગ તથા કેટલાક કમ્યુનિકેબલ રોગ જેવા કે એચઆઇવી (5.7%) માટે આ સારવારની જરૂર પડે છે.

 

રોગના નિદાન થતાંની સાથે જ આ સારવાર શરૂ કરવી જરૂરી છે. જે ક્ષણે સપોર્ટિવ કેર તરીકે આપવામાં આવે છે. જેથી રોગની સારવારથી થતી તકલીફોમાંથી દર્દીને રાહત મળી રહે અને દર્દી સારી રીતે સારવાર પૂરી કરી શકે.

 

પેલિએટીવ કેર હોસ્પિટલ, ઘરે (હોમ કેર) કે હોસપિસમાં આપી શકાય હોસપીસ એ કોઈ હોસ્પિટલ કે ઘર નથી. ઘર જેવુ વાતાવરણ પૂરું પાડતી હોસપિસ સંસ્થા છે. હોસપીસ એ કોઈપણ અસાધ્ય રોગના દર્દીઓ માટેનું સારવાર કેન્દ્ર છે. ગુજરાત કેન્સર અને રિસર્ચ સેન્ટર, અમદાવાદનું હોસ્પિસ સેંટર વાસણામાં આવેલું છે જેનું નામ કમ્યૂનિટી ઓન્કોલોજી સેન્ટર છે.

હોમ કેર એટલે દર્દીના નજીકના સગા જે ઘરે દર્દીની સારસંભાળ રાખવાના છે તેમણે દર્દીની રોજીંદી સારવાર જેવી કે ઘાનું ડ્રેસિંગ, ફીડિંગ કે શ્વાસો શ્વાસની પાઇપની જાળવણી કેવી રીતે કરવી તેના માટે તૈયાર કરવામાં આવે છે. કેટલીક વખત ઈન્જેકશન આપવા માટે પણ તૈયાર કરવામાં આવે છે. અને દર્દીની જરૂરિયાત પ્રમાણે ડોક્ટર ઘરે વિઝિટ કરે છે.

ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં 2015થી પેલિએટીવ મેડિસિન એક સ્પેશિયલ વિભાગ તરીકે કાર્યરત છે, જ્યાં રોજના 80 થી 120 અને વર્ષે આશરે 20,000થી વધુ દર્દીઓ આ સારવારનો લાભ લે છે. 2020 કોવિડ- 19 વખતે પણ આશરે 18000 દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. આ વિભાગ હોસપીસ અને હોમ વિઝિટની સેવા પણ પૂરી પાડે છે.

દર વર્ષે ઓક્ટોમ્બર મહિનાના બીજા શનિવારને “વિશ્વ હોસપિસ ” અને પેલિએટીવ કેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે . જે અંતર્ગત સમગ્ર વિશ્વમાં આ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે Leave No one behind એટલે કે જે દર્દીઓને પેલિએટીવ કેરની જરૂર છે તે બધાને આ સારવારનો લાભ મળે અને તેમને આ સારવાર મેળવવાનો પૂરો હક્ક છે થીમ આધારિત આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

(11:48 pm IST)