ગળતેશ્વર તાલુકાના રુસ્તમપુરાની યુવતી પાસેથી દહેજ પેટે 20 લાખની માંગણી કરી ત્રાસ ગુજારનાર અમદાવાદના સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
ગળતેશ્વર:તાલુકાના રૂસ્તમપુરાની યુવતીને અમદાવાદના સાસરિયાઓએ દહેજ તેમજ ઘરકામ બાબતે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા નડિયાદ મહિલા પોલીસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરામાં રહેતી સિદિરફાતેમા નામની યુવતીના સન ૨૦૧૩માં અમદાવાદ રાયખંડમાં રહેતા મુઝમ્મિલ સાકિર હુસેન સૈયદ સાથે જ્ઞાતિના રીતિરિવાજ મુજબ લગ્ન થયા હતા. શરૂઆતનું લગ્નજીવન સુખમય ગયું હતું. બાદમાં સાસરિયાનો ત્રાસ શરૂ થયો હતો. લગ્નના એક મહિના બાદથી પતિ મુજમ્મીલ તથા સાસુ મહેજબીન સાકીર હુસેન તથા નણંદ આયેશાસીદિકા તમસીરહુસૈન સૈયદ કહેતા કે તારે બાળક રહેતુ નથી તને તલાક આપી દઈશું તેમ કહી મ્હેણાં ટોણાં મારી હેરાન પરેશાન કરતા હતા. પરિણીતા ઘરસંસાર ન બગડે તે માટે મુંગા મોંઢે બધું સહન કરતી હતી. દરમ્યાન તેણીને સારા દિવસો રહ્યા હતા અને ડિલિવરી સમયે પતિ તથા સાસરીવાળા તેણીને દવાખાને મુકી કોઈને પણ કહ્યા વગર જતા રહ્યા હતા. તેણીને સંતાનમાં એક દીકરાનો જન્મ થયેલ જે હાલમાં ૬ વર્ષનો છે. ત્યારબાદ મારા સાસરીવાળાએ મારા માતા પિતાને ફોનથી કહે છે કે તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જજો. ત્રણ મહિના બાદ સાસરીમાં ગઈ હતી. જેથી પતિ વગર કારણે તેણીની સાથે ઝઘડો કરીને મારઝુડ કરતા હતા. નણંદ-નણદોઈ પણ કહેતા કે તને છૂટાછેડા આપી દેવાના છે તેમ જણાવીને વીસ લાખ રૂપિયા લઈ આવવાનું તેમજ પિતાની જમીન પતિના નામે કરી દેવાનું જણાવતા હતા. પરંતુ પરિણીતા તાબે ના થતાં તેણી પરના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો. આ અંગે મહિલા પોલીસે મુઝમ્મીલ સાકીરહુસૈન સૈયદ, મહેજબિન આયેશા સૈયદ અને તસમીરહુસેન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.