નવરાત્રીના પ્રથમ નોરતાથી પાવાગઢ ખાતે ભાવિકો ઉમટ્યો : જય માતાજી ના ભારે જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું
વહેલી સવારે ૫.૦૦ કલાકે નીજ મંદિરના દ્વાર ખુલતા પહેલા મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસર ખાતે આવી પહોંચ્યા
પાવાગઢ : શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન માતાજીના ભક્તો માતાજીની આરાધનાથી વંચિત રહ્યા હતા જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા બે નવરાત્રી દરમિયાન માતાજીના લાઈવ દર્શન તેમજ પાવાગઢ ખાતે વર્ચ્યુલ દર્શન કરાવવામાં આવ્યા હતા. જ્યારે ગુરૂવારના રોજથી શરૂ થયેલ નવરાત્રીના પ્રથમ નોરતાથી માતાજીના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવતા માતાજીના ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે.
આસો નવરાત્રિના પ્રથમ નોરતાએ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા ભક્તો આગલી રાતથી જ પાવાગઢ તરફ પ્રયાણ કરતા જોવા મળતા હતા જોકે વહેલી સવારે ૫.૦૦ કલાકે નીજ મંદિરના દ્વાર ખુલતા પહેલા મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસર ખાતે આવી પહોંચ્યા હતા જ્યારે નીજ મંદિરના દ્વાર ખુલતા ભક્તોએ જય માતાજી ના ભારે જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું જ્યારે ભક્તોએ નીજ મંદિરના દ્વાર ખુલતા શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા.
જયારે નવરાત્રી પર્વને લઈ પાવાગઢ ખાતે યાત્રિકોનો ઘસારો વધુ હોવાને લીધે યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લાના અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી ખાનગી વાહનો પાવાગઢ ખાતે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તમામ વાહનો ધાબાડુંગરી થી વડા તળાવ તરફ ડાયવર્ટ કરી પાર્કિંગ કરવામાં આવતા હતા જ્યારે ડુંગર ખાતે ખાનગી વાહનો પર પ્રતિબંધ હોય વાહનચાલકોને પોતાના વાહનો પાર્કિંગમાં મૂકી એસ.ટી.બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી.