કઠલાલના કાણીયેલમાં મહિલાને મોતનેઘાટ ઉતરનાર શખ્સને કોર્ટે આજીવન કેદની સજાની સુનવણી કરી
કઠલાલ: તાલુકાના કાણીયેલ સીમમાં પાંચ વર્ષ અગાઉ પુત્રની વિવિધ ખીજો પાડી ખીજવતા હોઈ ઠપકો આપવા ગયેલી માતાના માથામાં પાવડાની મુદર મારી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં નડિયાદ કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૫૦,૦૦૦ નો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના કાણીયેલમાં આવેલ તરપોજ વિસ્તારમાં રહેતા ભગવતભાઈ ઘેલાભાઈ બારૈયાના પુત્ર કમલેશભાઈને કાણીયેલમાં સરાલી સીમમાં રહેતા દિલીપભાઈ કાનજીભાઈ બારૈયા છેલ્લાં ઘણાં સમયથી વિવિધ ખીજો પાડી હેરાન કરતાં હતાં. આની જાણ કમલેશની માતા મંજુલાબેન (ઉં.વ ૩૫) ને થઈ હતી. જેથી તેઓ તારીખ ૩-૧૦-૧૩ ના રોજ સવારે ૧૧ કલાકે દિલીપભાઈ કાનજીભાઈ બારૈયા પોતાના વિસ્તારમાં આવતાં તેમને મારા પુત્ર કમલેશની ખીજો કેમ પાડે છે કહી ઠપકો આપ્યો હતો. તે વખતે મંજુલાબેન અને દિલીપભાઈ વચ્ચે તુ..તુ...મેં..મે.. થઈ હતી. આ વખતે ઉશ્કેરાયેલા દિલીપભાઈ કાનજીભાઈ બારૈયાએ પોતાના હાથમાંના પાવડાની મુદર મંજુલાબેનના માથાના ભાગે ફટકારી દીધી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. લોહીલુહાણ થઈ ગયેલી મંજુલાબેનને ૧૦૮ બોલાવી પ્રથમ કઠલાલની હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરી હતી. ત્યાં તેનું મોત નિપજ્યું હતું.