ગુજરાત
News of Monday, 8th August 2022

૧૦મી ઓગસ્ટ - વિશ્વ સિંહ દિવસ: વિશ્વ સિંહ દિવસ ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે.

અમદાવાદ :૧૦મી ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની રાજ્યમાં ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે. જેનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર-૧ પર સવારે ૯:૦૦ થી ૯:૪૫ કલાક સુધી કરવામાં આવશે. આ કાર્યક્રમની લિંક મુખ્યમંત્રીના કાર્યાલયની આઈટી ટીમ દ્વારા ફેસબુક, યુટ્યુબ, જેવા સોશિયલ મીડિયાના માધ્યમ પર કાર્યક્રમના ૧૫ મિનીટ પહેલા શેર કરવામાં આવશે એમ નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ પારિસ્થિકી તંત્રની દૃષ્ટિએ આગવું મહત્વ ધરાવતી પ્રજાતિ છે. સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
૧૦મી ઓગષ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ-૨૦૨૨’ની ઉજવણી શાળાઓમાં ગ્રામ્ય અને શહેર કક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા તેમજ સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરવાનું વન વિભાગનું આયોજન છે. આ ઉજવણી એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારની ૮ જીલ્લાની આશરે ૬,૫૦૦ જેટલી શાળા-કોલેજોમાં આ કાર્યક્રમ ઉજવાશે, જેમાં આશરે ૧૫ લાખથી વધુની લોકભાગીદારી નિર્માણ થશે.
જે-તે ગામ/શહેરની શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, લોકપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ શાળાએ ૧૦મી ઓગષ્ટના રોજ એકત્ર થઈ આ કાર્યક્રમમાં જોડાશે. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ત્યારબાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિંહોના મહોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગતા નારાઓ બોલવા સાથે ઐતિહાસિક મહારેલી કાઢશે. રેલી પૂર્ણ કરી તમામ શાળાના પટાંગણમાં એકત્ર થઇ સભાના રૂપમાં મળશે, જેમાં સિંહ પર બનેલી ૧૦-૧૨ મિનીટની ડોકયુમેન્ટ્રી ફિલ્મ નિહાળશે. ત્યારબાદ શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વક્તવ્ય આપવામાં આવશે અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ (પ્રતિજ્ઞા) લેશે.
તમામ સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ આ ઉજવણી કરવામાં આવશે અને જેમાં લોકો દ્વારા સિંહોને લગતી પોસ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટૂંકા વિડીયો, ટેકસ મેસેજ, એસએમએસ, માઇક્રો બ્લોગ ડિજિટલ ટેકનોલૉજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે. વધુમાં વધુ લોકો વર્ચુઅલ રીતે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા આ ઉજવણીમાં જોડાય તે માટે એસએમએસ (લોકોને "ચાલો આપણે સૌ એશિયાટિક સિહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનું જતન કરીએ આપ સૌને વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ! #WorldLionDay2022 વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીર, ગુજરાત વન વિભાગ આ સંદેશો ૧૭ લાખ લોકોને પહોંચાડવામાં આવશે) અને ઇ-મેઇલ દ્વારા સંદેશી પહોંચાડવામાં આવશે. તેમજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી વન વિભાગ, ગુજરાત દ્વારા (હૈઝ ટંગ)#WorldLionDay2022 નક્કી કરવામાં આવેલ છે. આ હેઝ ટેગનો ઉપયોગ કરી ભારતભરના અને વિશ્વના સિંહપ્રેમીઓ એન.જી.ઓ, પ્રકૃતિપ્રેમીઓ, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, ગ્રામજનો તેમના ટેક્ટ્હ મેસેજ, ફોટોગ્રાફસ, ટુંકા વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરી આ ઉજવણીમાં ભાગીદાર થાય તે માટે જાગૃતિ નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત આ સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે માહિત્ય કલાકારણીઓ દ્વારા પણ આવા સંદેશા પ્રસિધ્ધ કરવામાં આવશે.
એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે. રાજ્ય સરકારના, ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના પરિણામે સિંહોની વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થયો છે અને આજે સૌરાષ્ટ્રના એશિયાટીક લાયન લેન્ડ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. લોકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ નિર્માણ થાય અને સંરક્ષણ અને સંવર્ધનમાં વધુમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ અને લોકોના સહિયારા પ્રયાસથી એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના ૮ જિલ્લાની આશરે ૬,૫૦૦ શાળાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી વન વિભાગ, ગુજરાત દ્વારા ૨૦૧૬નાં વર્ષથી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગનો સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, ગ્રામજનોની લોકભાગીરીથી આ ઉજવણી કરવામાં આવે છે વર્ષ ૨૦૧૬માં ૫.૪૬ લાખ, ૨૦૧૭માં ૨.૭૬ લાખ, ૨૦૧૮માં ૧૧,૦૨ લાખ, ૨૦૧૯માં ૧૧.૩૭ લાખની મોટી સંખ્યામાં લોકભાગીદારી નિર્માણ થવા પામી હતી. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષોમાં કોવિડ-૧૯ મહામારીના કારણે શાળા કક્ષાએ ગ્રામ્ય-શહેરમાં ઉજવણી થઈ શકી ન હોવાથી લોકોના સિંહ પ્રત્યેના પ્રેમને ધ્યાને લઇ વર્ચ્યુઅલ રીતે સોશ્યલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ૨૦૨૦માં ૭૨.૬૩ લાખ અને ૨૦૨૧માં ૮૫.૦૧ લાખ લોકોએ ભાગ લીધો હતો. આમ, વર્ચ્યુઅલ માધ્યમથી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકભાગીદારી નિર્માણ થયેલ હતી.
ભારત અને ગુજરાતના ગૌરવ એશિયાઇ સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકભાગીદારી નિર્માણ થાય તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં સહિયારા પ્રયત્નો કરી વધુમાં વધુ લોકો શાળા કક્ષાએ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવતા આ કાર્યક્રમમાં જોડાય તેવી આશા રાખવામાં આવે છે.

(7:39 pm IST)