ગુજરાત
News of Saturday, 8th August 2020

અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓને બચાવવા ગયેલાં ફાયરના જવાનોનો રિપોર્ટ નેગેટીવ

એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ સહિત 33 ફાયર જવાનોના એન્ટિજન ટેસ્ટ કરાયા

અમદાવાદ: દેશભરમાં ચકચાર જગાવનારી નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી હતી. આ આગની ઘટનામાં દર્દીઓની વ્હારે પહોંચી ગયેલી પોલીસ હોમ કવોરોન્ટાઇન થઇ ગઇ છે. જયારે ફાયર જવાનોને અવિરતપણે તેમની કામગીરી ચાલુ રાખવાનો હુક્મ કરવામાં આવ્યો હતો. એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ સહિત 33 ફાયર જવાનોના આજે 48 કલાક બાદ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. તમામ લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં કોવિડ 19 દર્દીઓને રાખવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં વહેલી પરોઢે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગ્રેડ તથા પોલીસના જવાનો ત્યાં દોડી ગયા હતા. ફાયરના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરીને દર્દીઓને બચાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે ચીસાચીસ અને બૂમાબૂમ સાંભળીને પોલીસ પણ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને બાકીના દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

(11:44 pm IST)