બોરસદના ભાદરણમાં નજીવી બાબતે ઠપકો આપતા થયેલ મારામારીમાં સામ-સામે ફરિયાદ નોંધાઈ
બોરસદ:તાલુકાના ભાદરણ ગામે ગત ૫મી તારીખના રોજ ઠપકા બાબતે મારામારી થતા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભદ્રેશભાઈ કૃષ્ણકાંતભાઈ જાની પોતાની દુકાને બેઠા હતા ત્યારે કરણભાઈ રાકેશભાઈ પટેલ છાશ લેવા આવ્યા હતા જ્યાં તેમને અગાઉ એક વૃધ્ધ સાથે થયેલી તકરાર અંગે વાત કરીને ઠપકો આપતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કર્યો હતો, ત્યારબાદ અર્જુનભાઈ રાકેશભાઈ પટેલ તથા પાયલબેન રાકેશભાઈ પટેલે પણ આવીને ગમે તેવી ગાળો બોલી બજારમાં એકલો મળીશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી.
સામા પક્ષે પાયલબેન રાકેશભાઈ પટેલે ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યું હતુ કે, ગત ૫મી તારીખના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તેઓ ભાઈ રાકેશભાઈ સાથે બળિયાદેવ મંદિરેથી પરત જતા હતા ત્યારે ભદ્રેશભાઈએ બૂમ પાડીને બોલાવ્યા હતા અને મારા મિત્રનું કેમ નામ લો છો તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.