નડિયાદમાં ઉછીના લીધેલ પૈસા ન ચૂકવી શકતા શખ્સે આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે
નડિયાદ:શહેરમાં વધુ એક વ્યક્તિએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ બનાવની જાણ પરિવારજનોને થતા તાત્કાલીક અસરથી ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જુના ડુમરાલ રોડ ઉપર રહેતા અને રેતીનો વ્યવસાય કરતા વિપુલભાઈ રમેશભાઈ પ્રજાપતિએ તેમના મિત્રો પાસેથી આઠ મહિના અગાઉ હાથઉછીના પંદર લાખ રૃપિયા લીધા હતા. જો કે આ રૃપિયા ચૂકવવાની વાત કરી હતી જેમાં લોકડાઉન અને કોરોનાનો કહેર યથાવત રહેતા તેઓ રૃપિયાની ચૂકવણી સમયસર કરી શક્યા નહોતા જેથી તેના વ્યાજની અવારનવાર માંગણી તેમના મિત્રો કરી રહ્યા હતા. હાલમાં વિપુલભાઈનો ધંધો મંદ ચાલી રહ્યો હતો તેથી તેઓ રૃપિયા પરત આપી શકતા નહોતા. આથી તેમની ધંધાની ટ્રક તેમજ એક ફોરવ્હીલર જપ્ત કરી લીધી હતી. જેથી વિપુલભાઈએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારજનોને જાણ થતાં તેઓને તાત્કાલીક નડિયાદ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓની તબિયત સારી હોવાનું તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું.