વડોદરામાં કચરો નાખવા જેવી બાબતે બે પાડોશી બાખડ્યા
વડોદરા: ગોરવા-રિફાઇનરી રોડ પરની કાશીધામ સોસાયટીમાં ઘરમાં કચરો નાંખવા મુદ્દે બે પાડોશી વચ્ચે થયેલો ઝગડો ગઇરાત્રે ચરમસીમા પર પહોંચી ગયો હતો. પાડોશમાં રહેતા એન્જીનિયર યુવાને શિક્ષિકા મહીલાને લોખંડની પાઇપ તેમજ ચપ્પુના સાત જેટલા ઘા મારી કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયેલા યુવાનને ગોરવા પોલીસે સાંજે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતિ મુજબ ગોરવા-રિફાઇનરી રોડ પરની કાશીધામ સોસાયટીમાં રહેતા અરુણભાઇ જરીવાલા દહેજ ખાતે જીએસીએલ કંપનીમાં ફરજ બજાવે છે તેમના પત્ની માધુરીબેન બાજવાની પ્રેરણા હિન્દી વિદ્યાલયમાં શિક્ષીકા હતાં જ્યારે તેમના બે પુત્રો પૈકી મોટો પુત્ર વિપ્લવ મંજુસર જીઆઇડીસીની કંપનીમાં ફરજ બજાવે છે. ગઇ રાત્રે વિપ્લવ મકાનની અગાસી પર ગયો ત્યારે અગાસી પર કચરો જોતા તે નીચે ઉતર્યો હતો અને માતાને જાણ કરી હતી જેથી માતા અને પુત્ર બંને અગાસી પર ગયા ત્યારે પાડોશમાં રહેતો કુલદીપ ઉર્ફે મોન્ટુ સમીરસિંહ ચૌહાણ નામના યુવાને માધુરીબેન પર લોખંડની પાઇપથી હુમલો કરતા તેઓ અગાસી પર ફસડાઇ પડયા હતાં.