ગુજરાત
News of Friday, 8th June 2018

હત્યા માટે ઘડાયેલું આ એક સરકારનું કાવતરૃં : મેવાણી

જીજ્ઞેશ મેવાણીના ભાજપ પર ગંભીર આરોપ : દલિત સમાજ દ્વારા મેવાણીને વાય કેટેગરીની સુરક્ષા આપવા માંગ : ધમકી પ્રશ્ને હાર્દિક, અલ્પેશ સહિત નેતાઓનું મૌન

અમદાવાદ,તા.૮ : ગુજરાતનાં દલિત યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. મેવાણીને ફોન પર મેસેજ અને ફોન કરીને ધમકીઓ આપવામા આવી રહી છે. ફોન અને મેસેજ કરીને ધમકીઓ આપનાર પોતાને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી બતાવી રહ્યો હોવાનો દાવો મેવાણીએ કર્યો છે. જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે અને કહ્યું છે કે, સતત ત્રીજા દિવસે તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. સાથે સાથે મેવાણીએ ભાજપ પર ગંભીર આરોપી લગાવ્યો છે કે, તેની હત્યા માટે આ ઘડાયેલું એક  સરકારી કાવતરૃં છે કારણ કે, તેના મોતથી ભાજપનું કામ સરળ થઇ જશે. જીજ્ઞેશ મેવાણીના આ ગંભીર આરોપોને પગલે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે., બીજીબાજુ, મેવાણીને મળી રહેલી જાનથી મારી નાંખવાની ધમકીઓ અંગે પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અને કોંગ્રેસ અગ્રણી અલ્પેશ ઠાકોર સૂચક મૌન સેવતાં તેને લઇને પણ ભારે ચર્ચા ચાલી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબબ, જીજ્ઞેશ મેવાણીને પ્રથમ ધમકીભર્યો ફોન તા.૬ઠ્ઠી જુને આવ્યો હતો. જેમાં ફોન કરનાર પોતે રવિ પુજારીએ ઓસ્ટ્રેલિયાથી તેને કોલ કરીને ગોળી મારવાની વાત કરી હતી. ત્યાર બાદ સતત ત્રીજા દિવસે શુક્રવારે પણ જીજ્ઞેશનાં મોબાઇલ પર ધમકીભર્યો મેસેજ અને કોલ આવ્યો છે. ખુદ રવિ પુજારી તરીકે પોતાની ઓળખ આપનાર વ્યક્તિ કહ્યું કે,"તે મેસેજ જોયો હું રવિ પુજારી બોલી રહ્યો છું ઓસ્ટ્રેલિયાથી. મેં તને મેસેજ કર્યો છે તે જોઇ લે પછી તને ફોન કરૂ છું.' જીજ્ઞેશને મોકલેલા મેસેજમાં લખ્યું છે, આ જે પ્રોવોકેટિવ સ્પિચ છે, તે આપવાનું બંધ કરી દે. નહી તો ઠોકી દઇશ. ઉમર ખાલિદ પણ મારી હિટ લિસ્ટમાં છે. આ મારા તરફથી ચેતવણી છે. માફીયા ડોન રવિ પુજારી.' જીજ્ઞેશે પોતાના ટ્વીટર હેન્ડલ પર બંન્ને નંબરો શેર કર્યા છે, જે નંબરો પરથી તેને મેસેજ અને કોલ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ દિવસોથી જીજ્ઞેશને રવિ પુજારીનાં નામથી ધમકીભર્યા મેસેજ અને ફોન આવી રહ્યા છે. જીજ્ઞેશે શુક્રવારે આવેલા ધમકીભર્યા કોલ બાદ ટ્વીટ કરીને કહ્યું,'મને મળી રહેલી ધમકીઓ એક સરકારી કાવતરૃં છે ? કારણ કે જો કોઇ રવિ પુજારી મને મારી નાંખે તો ભાજપાનું કામ સરળ થઇ જશે. આંબેડકરવાદી આંદોલન પર હુમલાની આ ચાલ છે'. બીજીબાજુ, જીજ્ઞેશને મળી રહેલી ધમકીઓનાં પગલે દલિત એક્તા મંચે જીજ્ઞેશ મેવાણીને વાય કેટેગરીની સુરક્ષા આપવાની માંગણી કરી છે. તો સાથે સાથે ગુજરાતનું રાજકારણ પણ વધુ ગરમાયું છે.

(8:13 pm IST)