ગુજરાત
News of Saturday, 8th May 2021

ગાંધીનગર:અડાલજના બાલાપીર ચાર રસ્તા નજીક પિતા-પુત્રીને કાર ચાલકે હડફેટે લેતા બંનેના કમકમાટીભર્યા મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલ સાંજના સમયે અડાલજના બાલાપીર ચાર રસ્તા નજીક મોપેડ સવાર પિતાપુત્રીને કાર ચાલકે અડફેટે લેતાં બન્ને નીચે પટકાયા હતા. પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જયારે પિતાને વધુ સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ ઘટના અંગે કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.    

જિલ્લાના હાઈવે માર્ગો ઉપર હાલ અકસ્માતના બનાવો નોંધનીય રીતે વધી રહયા છે. ત્યારે ગઈકાલે સાંજે સર્જાયેલા અકસ્માતમાં પિતાપુત્રીનું મોત નીપજયું છે. જે અંગે પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ ખાતે રહેતા અને અગાઉ ત્રિમંદિરમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા મોહનલાલ રામાભાઈ શર્મા ગઈકાલે સાંજના સમયે તેમનું મોપેડ લઈને ત્રિમંદીર ખાતે નોકરી કરતી પુત્રી રીતુને લેવા માટે ગયા હતા. જયાંથી તેઓ મોપેડ ઉપર ઘર તરફ જઈ રહયા હતા તે દરમ્યાન અડાલજ બાલાપીર ચાર રસ્તા પાસે માણેકબા સ્કુલની સામે પસાર થતી જીજે-ર૩-એએચ-૨૯૪૫ નંબરની કારના ચાલકે તેમના મોપેડને અડફેટે લીધું હતું. જેના કારણે આ પિતાપુત્રી રોડ ઉપર પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રીતું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ મોહનલાલને ગાંધીનગર સિવિલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું પણ મોત નીપજયું હતું. આ ઘટના અંગે અડાલજ પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

(4:47 pm IST)