ગુજરાત
News of Saturday, 8th May 2021

રાજપીપળા કોવિડ હોસ્પીટલ ખાતે RTPCR લેબમાં સેમ્પલ પરિક્ષણની કામગીરી શરૂ થતાં રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સરકારી આયુવેર્દિક કોલેજમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ માટે મંજૂર કરાયેલી લેબોરેટરી સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવી છે, જેને લીધે નર્મદા જિલ્લાના દરદીઓના RTPCR ટેસ્ટ માટેના એકત્ર કરાયેલા નમૂનાઓનું પરિક્ષણ રાજપીપલાની આ લેબ ખાતે થઇ રહયું છે. અને એક દિવસમાં ૨૪ કલાકની અંદર જ તેના રિપોર્ટ આપવાની સુવિધા ઉપલબ્ધ થઇ છે.
 કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો. જયોતિ બેન ગુપ્તાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, રાજપીપલા ખાતે છેલ્લા એક વર્ષથી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. અત્યાર સુધી આ જિલ્લાના દરદીઓના RTPCR ટેસ્ટના સેમ્પલ પરિક્ષણ માટે વડોદરાની SSG અને ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવતાં હતા. અમૂક સમયે વધુ સેમ્પલ હોય તો અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજ ખાતે પણ પરિક્ષણ માટે મોકલેલ છે. અત્યારે કારોનાના કેસ વધવાને લીધે પરિક્ષણ માટે બહાર મોકલવામાં આવતાં સેમ્પલના રિપોર્ટ મેળવવામાં ૩ થી ૪ દિવસ લાગતાં હતાં અને દરદીઓને આ બાબતે પડતી મુશ્કેલી હવે આપણે રાજપીપલા ખાતે આ લેબની થયેલી શરૂઆતને લીધે તેનો સુખદ ઉકેલ લાવી શકયા છીએ.
ડો. જયોતિબેન ગુપ્તાએ વધુમાં ઉમેર્યુ હતું કે,અહીંની કોવિડ હોસ્પિટલ ખાતે હાલમાં પ્રારંભિક તબકકામાં આશરે ૨૦૦ જેટલાં RTPCR સેમ્પલના ટેસ્ટીંગનો લક્ષ્યાંક રાખેલ છે, જેમાં ક્રમશઃ વધારો કરીને ૫૦૦ જેટલાં સેમ્પલનું ટેસ્ટીંગ થાય તે પ્રકારની કામગીરીનું આયોજન કરાયું છે. જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે. હૈદર અને જિલ્લા કલેકટર ડી.એ.શાહના પ્રયાસોને લીધે સરકાર તરફથી તાત્કાલિક ધોરણે આ જિલ્લા માટે  RTPCR  લેબોરેટરીની મંજૂરી મળેલ છે અને માત્ર ૧૫ દિવસમાં જ આ લેબ માટેની તમામ પ્રકારની સાધન- સામગ્રી અને વિજાણુ ઉપકરણો સાથે રાજપીપલામાં RTPCR લેબ કાર્યરત થઇ છે. જેને લીધે અહીં આવતા દરદીઓના RTPCR  ટેસ્ટનું પરિક્ષણ પણ આ નવી લેબમાં થઇ શકશે  અને એક જ દિવસમાં ૨૪ કલાકની અંદર તેનો રિપોર્ટ આપી શકાશે.

(1:12 pm IST)