ગુજરાત
News of Thursday, 8th April 2021

કોરોનાના કેસ વધતાં SVPમાં બેડ વધારવા સરકારનો નિર્ણય

કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા : અન્ય રોગના દર્દીને તબક્કાવાર રજા આપવામાં આવશે, તે પથારીઓમાં કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે

ગાંધીનગર, તા. ૮ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકારે બેડ વધારવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે.

અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. તેથી મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કોર મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર ગ્રુપની બેઠકમાં દરરોજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

અમદાવાદમાં બેડ વધારવા પડે સ્થિતિ ઉભી થઇ છે. મોરબીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. તેના પગલે અમદાવાદની એસવીપી હોસ્પિટલની ૫૦૦ કોરોનાના દર્દીઓની કેપેસિટી વધારીને ૧૦૦૦ બેડની કરવામાં આવશે. અન્ય રોગના દર્દીઓને તબક્કાવાર રજા આપવામાં આવશે. અને તે પથારીઓમાં કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ એટલે ૩ હજારથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલી મંજુશ્રી હોસ્પિટલમાં આવેલી કોરોનાના બેડની સુવિધા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ને તેનું મેનેજમેન્ટ સોંપવામાં આવ્યું છે.

(9:03 pm IST)