વડોદરાના પાણીગેટ વિસ્તારમાં કોરોનાની સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપજતા પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો
વડોદરાઃ શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે વધુ એક હોસ્પિટલ પર દર્દીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ મુકાયો છે.છેલ્લા બે દિવસમાં બે હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવારમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચ્યો હતો અને હવે આવો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે.
પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં આજે મોડી રાતે કોરોનાની સારવાર દરમિયાન એક મહિલાનુ મોત થયા બાદ તેમના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે માંજલપુર વિસ્તારમાં રહેતા ગજરાબેન બારીયા(ઉં.વ.૬૦) કોરોનાથી સંક્રમિત થયા બાદ પાણીગેટ વિસ્તારની શ્રીજી હોસ્પિટલમાં એક સપ્તાહથી દાખલ કરાયા હતા.આજે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને મોડી રાત્રે તેમનુ મોત થતા, પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ભારે હંગામો કર્યો હતો.એ પછી પાણીગેટ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.