ગુજરાત
News of Thursday, 8th April 2021

અમદાવાદની શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પીટલમાં બિહારના ૨૧ બાળદર્દીઓ સારવારમાં

મુખ્યમંત્રી નીતિશકુમારના પ્રયત્નોથી સરકારી અધિકારીઓ અને વાલીઓને પણ સારસંભાળ માટે મોકલાયાઃ ઓડીશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારના ૧૦૦૦ બાળ કાર્ડિયાક દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવાનું અભિયાન

બાલ હૃદય યોજના  : અમદાવાદની શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પીટલમાં બાલ હૃદય યોજના અંતર્ગત બિહારથી આવેલા હૃદયરોગના ૨૧ બાળદર્દીઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ જે તસ્વીરમાં નજરે પડે છે.

અમદાવાદ, તા. ૮ :. બિહારના મુખ્યમંત્રી શ્રી નીતીશકુમારના પ્રયત્નોથી ૨ એપ્રિલના રોજ અમદાવાદની શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં બિહારથી આવેલા હૃદયરોગના ૨૧ બાલ હૃદય યોજના અંતર્ગત  દર્દીઓને દાખલ કરાયા હતા.તેઓની સાથે તેમની સંભાળ માટે તેમના વાલીઓ તથા સરકારી અધિકારીઓ પણ આવ્યા હતા.

ગુજરાતના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી , હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી મનોજભાઈ ભીમાણી તથા શ્રી કે.બી.ઝવેરી સહિતના મહાનુભાવો આ બાળકોને આવકારવા એરપોર્ટ ઉપર હાજર રહ્યા હતા.

એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદીએ આ તકે જણાવ્યું હતું કે આજરોજ આ પહેલો એવો પ્રસંગ છે કે જ્યારે બિહારથી આટલી મોટી સંખ્યામાં બાળ દર્દીઓ ,તેમના વાલીઓ ,તથા સરકારી અધિકારીઓ અમદાવાદ આવ્યા છે.

'દિલ વિધાઉટ બિલ' તરીકે સુવિખ્યાત  રાજકોટની શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ચેરીટેબલ સંસ્થા પ્રશાંત મેડિકલ સર્વિસીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે. જે ફાઉન્ડેશન છેલ્લા ૨૧ વર્ષથી સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે ખુબ ખર્ચાળ ગણાતી તમામ પ્રકારની કાર્ડિયાક સર્જરી વિનામૂલ્યે કરી આપે છે.

અમે ભારતમાં સૌથી મોટી ગણાતી એકમાત્ર પીડિયાટ્રિક ચેરીટેબલ કાર્ડિયાક હોસ્પિટલનું અમદાવાદમાં નિર્માણ કર્યું છે. જ્યાં વિવિધ સવલતો ઉપલબ્ધ છે.

જેમા ચાર વર્ગ ૧૦૦ ઓપરેશન થિયેટરો, બે કેથ લેબ્સ, પ્રિ એન્ડ પોસ્ટ ઓ.ટી.વોર્ડ્સ, આઈસીયુ  તથા આઈસીસીયુ, મલ્ટીપર્પસ પ્રેયર હોલ /ટેમ્પલ /ઓ.પી.ડી., ડોકટર્સ તથા પેરા મેડિકલ સ્ટાફ માટે રેસીડન્શીઅલ કવાટર્સ, ડાઇનિંગ હોલ, સ્ટોર્સ,યુટીલીટી રૂમ્સ વગેરે ઉપલબ્ધ છે.

આ ઉપરાંત દર વર્ષે ઓછામાં ઓછા ૫૦૦૦ કાર્ડિયાક માટેનું ઇન્ફાસ્ટ્રકચર, એકસરે, લેબ્સ ,ઈ.સી.જી.,તથા તેને લગતા આનુસંગિક ઉપકરણો પણ ઉપલબ્ધ છે.

ઓડિસા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા બિહાર રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ.કર્યા છે જે મુજબ આ રાજ્યોના ૧૦૦૦ બાળ કાર્ડિયાક દર્દીઓને સારવાર આપીશું.

નવેમ્બર ૨૦૧૮ થી અત્યાર સુધીમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે સફળતા પૂર્વક આ રાજ્યોના દર્દીઓના ૧૭૦૦ કાર્ડિયાક ઓપરેશનો કર્યા છે.

હકીકતમાં આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા ઘણાં બાળકોને નાણાંની તંગીને કારણે પૂરતી મેડિકલ સારવાર મળી શકતી નથી. જયારે અહીંયા અમે બાળકોની અમૂલ્ય જીન્દગી બચાવવા માટે વિનામૂલ્યે, પ્રેમપૂર્વક તથા  કાળજીથી કાર્ડિયાક સારવાર આપીએ છીએ.જે અંતર્ગત બાળકોને નવું જીવન બક્ષવા માટે કઠિન પ્રયાસ હાથ ધર્યો છે.

(3:30 pm IST)