કોરોના : મગજ એવુ થઇ ગયું છે કે ટ્રક પાછળ રામદેવ વીર લખ્યું હોય તો પણ રેમડેસિવીર વંચાય છે
લોકડાઉન નાખો તો વાંધો નહિ પણ ૨૦ લાખનું પેકેજ ન આપતા : હજુ ગયા વખતના પડ્યા છે : કોરોનાનો નવો રાઉન્ડ શરૂ થતાં સોશ્યલ મિડિયા પર ફરી રહ્યા છે રમૂજ ભર્યા સંદેશા
રાજકોટ,તા. ૮: કોરોનાના સંખ્યાબંધ કેસનો નવો રાઉન્ડ શરૂ થતા એક તરફ નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.
સરકારી તંત્ર તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયું છે ત્યારે લોકો સોશિયલ મીડ્યા ઉપર સંદેશાઓ મોકલીને રમૂજનો સહારો લઇ રહ્યા છે. અનેક લોકો પોતે કોરોનાગ્રસ્ત છે અથવા તેમના સંબંધીઓને કોરોના થયો છે તે સંજોગોમાં વિવિધ મેસેજ થકી પોતાનો તંત્ર ઉપર પોતાનો રોષ પણ ઉતારી રહ્યા છે અને દુઃખ હળવું કરવા પણ પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ માસ્કની અનિવાર્યતા અને બીજી તરફ રાત્રિ કફર્યુનો સમયગાળો પણ વહેલો કરાતા સોશિયલ મીડિયા ઉપર વિવિધ સંદેશાઓનો મારો જોવા મળી રહ્યો છે. જે આ પ્રમાણે છે.
કોરોના- કોરોના સાંભળીને મગજ એવું ડહોળાઇ ગયું છે કે ટ્રકની પાછળ રામદેવવીર લખ્યું હોય તો પણ રેમડેસીવીર વંચાય છે
. કોરોના ભયંકર રીતે ફેલાઇ રહ્યો છે...તાકીદે ચૂંટણી રેલી કે સભામાં જઇને પોતાનો બચાવ કરો.
.લોકડાઉન નાખો તો વાંધો નહીં પણ ર૦ લાખ કરોડનું પેકેજ ફરી ના આપતા, હજુ ગયા વખતના પડ્યા છે અને પછી બધુ બંધ હોય તો અમારે કયાંય વપરાતા પણ નથી.
. જો આવનારા ચાર- પાંચ વર્ષ પણ માસ્ક પહેરીને ફરવાની ફરજ આવશે તો બાળકો એમ જ સમજશે કે કપડાની જેમ માસ્ક પણ ચહેરા પર પહેરવુ અનિવાર્ય છે.
. સાલુ માસ્ક વિના એક ચાર રસ્તા પોલીસવાળા પસાર કરવા દેતા નથી તો આ દારૂ કયાં અન્ડરગ્રાઉન્ડ પાઇપ લાઇનથી આખા ગુજરાતમાં મોકલાતો હશે.
. કોરોના વોરિયર્સ તરીકે ઇન્કમટેશ પેયર્સને પણ ગણવા જોઇએ..બિચારા ગણતરીના ૩ કરોડ લોકો દેશના કરોડો લોકોની નિઃ શુલ્ક વેકિસનનો ભાર પોતાના માથે લઇ રહ્યા છે.
.કરોડ ઉપર માસ્ક નહીં પહેરોતો એક હજાર રૂપિયાનો દંડ અને મંચ ઉપર નહીં પહેરો તો ફૂલહારથી સ્વાગત.
.કોરોના ખતમ કરવા ફરીથી લોકડાઉન લગાવો, વેકિસન તો ખાલી સેલ્ફી લેવા માટે જ બનાવી છે
. દર્દી : વેકિસન લીધા પછી હવે હું સુરક્ષિત છુ ને ડોકટર ...
ડોકટરઃ લગ્ન વખતે લોકો હેપ્પી મેરીડ લાઇફની શુભેચ્છા આપે છે ને..આ તેના જેવુ જ છે.
. ચૂંટણી સામે કોરોના બરાબર લડી લે છે તો ખબર નહીં લગ્ન સામે જ શું વાંધો પડે છે.
.આત્મનિર્ભર ભારતઃ વેપાર બંધ છે- વ્યાજ ચાલુ છે, શટર બંધ છે- ભાડુ ચાલુ છે, સ્કૂલ બંધ છે- ફી ચાલુ છે, પગારમાં કપાત છે- વેરામાં વધારો છે
.જૂની પેઢીને એમ હતું કે કર્ફ્યું તોફાનો- રમખાણો વખતે જ નખાય...કોરોનાના કારણે પણ સંચારબંધી જોવા મળશે તેવી કલ્પના ન હતી.
.ચારધામ બંધ છે પણ મુકિતધામ ચાલુ છે એટલે ઘરે રહો અને સુરક્ષિત રહો.
.સરકારે આંખનું કાજળ ગાલે ઘસ્યું... હાઇકોર્ટે કહ્યું કર્ફ્યુ- લોકડાઉન નાખો તો સરકાર સમજી કે રાત્રે કલાકનો કર્ફ્યું વધારી દીધો. (૨૨.૭)
છોકરાનો ગયા જરેમનો નાતો..
એક છોકરો તેના પિતા સાથે બજારમાં જઇ રહ્યો હતો ત્યાં રસ્તામાં એક બિલ્ડિંગ જોઇ તે બાજુજવા લાગ્યો એટલે તેના પિતાએ કહ્યું કયાં જઇ રહો છે..તો બાળક કહે ડેડી મને લાગે છે કે હું આ બિલ્ડીંગને જાણુ છુ અને ગયા જનમનો મારો તેની સાથે નાતો હોય તેમ લાગે છે....પિતાએ બિલ્ડીંગ જોઇને છોકરાને થપ્પડ લગાવતા કહ્યું બદમાશ આ તારી સ્કૂલ છે જે કોરોનાના કારણે ગયા વર્ષથી બંધ છે...ગયા જન્મની વાતો બંધ કર.