રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્તનો મૃતદેહ લઇ જવા શબવાહિની માટે ત્રણ કલાક રાહ જોવી પડી
(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપલા કોવીડ હોસ્પિટલમાં કોરોનગ્રસ્ત દર્દીના મૃતદેહ માટે શબવાહિની માટે મૃતકના સગા એ ત્રણ કલાક રાહ જોવી પડી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયેલ ડેડીયાપાડા ની ગંગાપુર શાળાના શિક્ષક ઠાકોરભાઈ રાજનું ગઈકાલે મોત નીપજ્યું હતું ત્યારે તેમના મૃતદેહને કોવીડ સ્મશાન ખાતે લઇ જવા શબવાહિનીની ત્રણ કલાક રાહ જોવી પડી હતી આ બાબતે મૃતકના સગા જેઓ પણ શિક્ષક છે તે વિરેન્દ્રસિંહ પરમાર જણાવે છે કે અમને હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું કે શબવાહિની કોન્ટ્રાક્ટ પરની છે એટલે રાહ જુઓ સમય જતા નગરપાલિકામાં પૂછ્યું તો ત્યાંથી જવાબ મળ્યો કે કોરોના માટે શબવાહિની અપાતી નથી અને તે સ્વાભાવિક છે તેથી અમે રાહ જોઈ ત્રણ કલાકે શબવાહિની આવી ત્યાં સુધી મૃતદેહ પડ્યો રહ્યો હતો.
આ બાબત સિવિલ સર્જન ને પૂછતાં તેમણે જણાવ્યું કે રાત્રે મોત નીપજ્યું હતું ત્યારે એમના મૃતદેહ ને લઇ જવા પૂછ્યું હતું પણ સવારે જણાવતા સવારે કોન્ટ્રાક્ટ ની શબ વાહિની અને અમારા ચાર કર્મચારી મૃતદેહ લઇ જનારા આવે ત્યાં સુધી રાહ જોવી પડી તેમાં ગેરવ્યવસ્થા નો કોઈ પ્રશ્ન નથી.