ગુજરાતની કેડિલા કંપનીનો કોરોનાની વેક્સિન બનાવવાનો દાવો: હાલ પશુઓ પર ટ્રાયલ શરૂ
ત્રણ મહિનામાં તેને મેડિકલ ટ્રાયલ માટે મોકલવાની આશા
અમદાવાદ :દેશમાં દવા બનાવતી મોટી કંપની કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલે કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે હાલ એનિમલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. આગામી ત્રણ મહિનામાં તેને મેડિકલ ટ્રાયલ માટે મોકલવાની આશા વ્યક્ત કરી છે.
પંકજ પટેલનું માનીએ તો, કેડીલા તરફથી હાલ વેક્સિન તૈયાર કરી લેવામા આવી છે અને એનિમલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. જો એનિમલ પર ટેસ્ટિંગ સફળ રહેશે તો કંપનીએ આગામી દિવસોમાં ક્લીનીકલ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. કેડિલા ગ્રૃપ મેલેરિયા માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં દવાઓ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે કે દુનિયામાં કોરોના વાયરસથી કોઈ સારવાર નથી. સારવાર દરમિયાન દર્દીઓને હાલ અલગ-અલગ દવાઓ આપવામાં આવી રહી છે. અલગ-અલગ રીતે કોરોનાના દર્દીઓને સાજા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં કેડિલા ગ્રુપનો પ્રયાસ સફળ થશે તો આ એક મોટી સફળતા હશે