ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ૩ શંકાસ્પદ દર્દી સપાટીએ
એસવીપીમાં બે દર્દીઓને ખસેડવામાં આવ્યા : કોરોના વાયરસને લઇને ગુજરાતમાં આરોગ્યતંત્ર સંપૂર્ણ સાબદુ : ગુજરાતમાંથી નિરીક્ષણ માટે ૨૦૦ નમૂના પુણેમાં
અમદાવાદ,તા. ૮ : ચીનમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ હવે ગુજરાતમાં આવ્યો હોવાની આશંકાને પગલે રાજયનું અને સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. રાજયમાં કોરોના વાયરસના ત્રણ શંકાસ્પદ દર્દીના કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ અને તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. ખાસ કરીને ચીનથી આવેલા બે દર્દી હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એટલું જ નહી, આ બંને દર્દીઓના બ્લડ સેમ્પલ પૂણે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ બંને વ્યક્તિમાંથી એકનો રિપોર્ટ પોઝિટીવ અને એકનો નેગેટિવ આવ્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે. પરંતુ આરોગ્ય તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે. આ અંગે અમ્યુકોના હેલ્થ વિભાગના અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમના લોહીના પરીક્ષણ માટે બ્લડ સેમ્પલ લઈ પૂનાની લેબમાં મોકલી આપ્યા છે.
તો બીજીબાજુ તા.૨ ફેબ્રુઆરીએ ચીનથી આવેલી જેતપુરની યુવતીમાં કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. યુવતીના બ્લડના સેમ્પલ પણ પૂનાની લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચીનથી પરત ફર્યા બાદ આ બંને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ બંને દર્દીઓના સેમ્પલ પૂનાની વાઈરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા હતા, આ બંને દર્દીઓમાં એક વ્યક્તિ પહેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે જો તે વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો અન્ય લોકોમાં પણ આ વાઈરસ ફેલાવાની શક્યતા હોઇ આરોગ્યતંત્ર ચાંપતી નજર રાખીને બેઠું છે. હાલ બંને દર્દીઓ નિષ્ણાત તબીબોના ઓર્બ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
દરમિયાન કોરોના વાયરસને લઇને અમદાવાદ શહેરની સાથે સાથે ગુજરાતમાં પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ચીનમાંથી મોટી સંખ્યામાં લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ગુણવંત રાઠોડે કહ્યું છે કે, હોસ્પિટલના પ્રાંગણમાં ડાયગ્નોસ્ટિક લેબ સ્થાપિત કરવા માટે પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે. હજુ સુધી પરીક્ષણ માટે પુણેમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં ગુજરાતભરમાંથી ૨૦૦થી વધુ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આ લેબ સર્ટિફાઇડ પ્રક્રિયાના ભાગરુપે છે. તમામના પરિણામો પર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલમાં પણ ટૂંકમાં જ લેબ શરૂ થઇ જશે. આનાથી રિપોર્ટિંગ ટાઈમ બચી શકશે. અમરેલીથી અહીં ખસેડવામાં આવેલી ૨૮ વર્ષીય મહિલાના રિપોર્ટની રાહ પુણેથી જોવામાં આવી રહી છે.