બોરસદ તાલુકાના જંત્રાલમાં ખેડૂતોને પૈસા ડબલ કરવાની લાલચ આપી 3.30 લાખની ઠગાઈ આચરનાર ત્રણ શખ્સો પોલીસની ઝપેટમાં
બોરસદ:તાલુકાના જંત્રાલના ત્રણ ખેડૂતોને એકના ડબલ કરવાની લાલચ આપીને કુલ ૪.૮૧ લાખની ઠગાઈ કરીને ફરાર થઈ ગયેલી ત્રિપુટીને વીરસદ પોલીસે ઝડપી પાડીને તેઓની પાસેથી રોકડા ૩.૩૦ લાખ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જે દરમ્યાન બીજા કેટલાક ગુનાઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાલવોડ ખાતે રહેતા રણજીતભાઈ પ્રવિણભાઈ પરમાર અને કઠાણા ગામે રહેતા અજયભાઈ માધુસિંહ સોલંકી એ જંત્રાલ ગામે રહેતા ગુરૂભાઈ રમણભાઈ ગોહિલ, ઘનશ્યામભાઈ અને રમણભાઈને એકના ડબલ કરવાની લાલચ આપીને પહેલા ૩૧ હજાર રૂપિયા લઈને બોલાવીને ધાર્મિક વિધિ કરીને નોટોનો વરસાદ વરસાવી લલચાવ્યા હતા. જેથી બીજા ૪.૫૦ લાખ રૂપિયા લઈને સારસા ખાતે બોલાવીને ડુપ્લીકેટ પોલીસના નામે ત્રાગડો રચીને કુલ ૪.૮૧ લાખની ઠગાઈ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે વીરસદ પોલીસે સપ્તાહ પહેલા ગુનો દાખલ કરીને રણજીત અને અજયને ઝડપી પાડ્યા હતા. બન્નેની પૂછપરછમાં ઠગાઈમાં સામેલ મુખ્ય સૂત્રધારોની માહિતી મળી હતી.