ગુજરાત
News of Saturday, 8th February 2020

ઠાસરા રેલવે સ્ટેશન નજીક અગમ્ય કારણોસર વઘાસીની મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુંકાવતા રહસ્ય ઘૂંટાયું

ઠાસરા: રેલવે સ્ટેશન નજીક ટ્રેનની આગળ એક મહિલાએ પડતું મૂક્યું હતું. સદનસીબે જે તે વખતે તેણી ઈજાગ્રસ્ત બની હતી. જેથી ૧૦૮ માં તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. જો કે તેની પાસેથી મળેલી એક ચિઠ્ઠી ઘણાં રહસ્ય સર્જી રહી છે. આ ચિઠ્ઠીને સ્યુસાઈડ નોટ ગણવી કે મહિલાની આપવીતી તે પ્રશ્ન મહત્વનો બન્યો છે. જો કે અભણ મહિલા આ ચિઠ્ઠી કેવી રીતે લખી અને નીચે અંગ્રેજીમાં સહી પણ કરી. તે જોતા કહેવાતી આ સ્યુસાઈડ નોટ અનેક રહસ્યો સર્જી રહી છે. આ અંગે આણંદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. અને સત્ય શોધવા કમર કસી હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના વઘાસીમાં આવેલ નવાપુરાના ઈન્દિરા વિસ્તારમાં રહેતી લ-મીબેન પુનમભાઈ પરમાર (ઉં.વ ૫૦) આજે સવારે ઠાસરા રેલવે સ્ટેશન નજીક ડાકોર ગોધરા રેલવે લાઈન પર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જેથી હાથ કપાઈ ગયો હતો. અને માથામાં પણ ઈજા થઈ હતી. તાત્કાલિક તેણીને પ્રથમ ડાકોર હોસ્પિટલમાં અને ત્યાંથી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. ઠાસરા પોલીસે આણંદ રેલવે પોલીસને વરધી આપતાં રેલ્વે લાઈન પર બનાવ બન્યો હોઈ અને આ વિસ્તાર આણંદ રેલવે પોલીસમાં આવતો હોઈ રેલવે પોલીસે નડિયાદ આવી તપાસ હાથ ધરી હતી. લાશને પીએમ કર્યા બાદ તેના પરિવારને સોંપી છે.

(5:33 pm IST)