બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેનાલોમાં પડતા ગાબડાને લઈને ખેડૂતો ત્રાહિમામ:જાતે કેનાલમાં ધૂળ નાખી પાણી બંધ કરવાનો ખેડૂતોનો પ્રયત્ન
બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારોમાં દિન-પ્રતિદિન પડતા કેનાલોમાં ગાબડાને લઈને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે અને વિપક્ષ દ્વારા પણ અનેકવાર લેખિત, મૌખિક રજુઆતો કરવા છતાં આજદિન સુધી નર્મદા નિગમ દ્વારા કે સરકાર દ્વારા કોઈ જાતની તપાસ કરવામાં ના આતા તેને લઈ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિપક્ષ દ્વારા કેનાલમાં પડતા ગાબડાને લઈ વિધાનસભામાં પણ રજુઆત કરવામાં આવી હતી. તેના જવાબમાં સરકાર દ્વારા નિર્દોષ નોળિયા અને ઉંદરના કારણે કેનાલમાં ગાબડા પડી રહ્યા છે તેવો જવાબ આપતા વિપક્ષ અને ખેડૂતો પણ સરકારની ઠેકડી ઉડાડી રહ્યા છે.
જોકે નર્મદા નિગમ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. ૨૪ કલાક પહેલા પડેલા કેનાલમાં ગાબડાનું પાણી બંધ કરવાનો તંત્રને સમય ના મળતા સતત ૨૪ કલાક બાદ પણ સતત પાણીનો પ્રવાહ યથાવત્ રહ્યો હતો. જ્યારે ખેડૂતના ખેતરોમાં વાવેલ જીરાના પાકને બચાવવા માટે ખેડૂતોએ ૨૪ કલાક બાદ જાતે કેનાલમાં પડેલ ગાબડા બાજુમાં ધૂળ નાખી પાણી બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈને ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો હતો.