ગાંધીનગર નજીક કુડાસણમાં જવેલર્સની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી 2.50 લાખના દાગીનાની લૂંટ ચલાવી રફુચક્કર
ગાંધીનગર: શહેર નજીક કુડાસણના કૃષ્ણકુંજ કોમ્પ્લેક્ષમાં આવેલી જવેલર્સની દુકાનમાં ગઈકાલે રાત્રે ત્રાટકેલા ત્રણ લૂંટારૂઓએ પાંચ રાઉન્ડ ફાયર કરી વેપારીને ઘાયલ કરી ર.પ૦ લાખના દાગીના લૂંટી લીધા હતા ત્યારે આ મામલે હવે પોલીસે લૂંટારૂઓને પકડવા દોડધામ શરૂ કરી છે. એટલું જ નહીં બુધવારે સાંજે પણ આ લૂંટારૂઓ દુકાનમાં આવ્યા હોવાનું ખુલ્યુ છે તો ઘાયલ વેપારીની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહયું છે. ગાંધીનગર જેવા વીઆઈપી વિસ્તારમાં થયેલી આ લૂંટની ઘટનાના પગલે પોલીસની અલગ અલગ ટીમો લૂંટારૂઓને પકડવા માટે કામે લાગી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધી ઘરફોડ ચોરીના બનાવો બનતાં હતા પરંતુ હવે હથિયાર સાથે લૂંટારૂઓ ત્રાટકવાની ઘટનાઓ પણ બની રહી છે. ગઈકાલે રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે કુડાસણના કૃષ્ણકુંજ કોમ્પ્લેક્ષમાં આવેલી ન્યુ આદિશ્વર જ્વેલર્સ નામની સોનાચાંદીની દુકાનમાં તેના માલિક કમલેશભાઈ શંભુસિંગ જૈન અને કર્મચારી સે-ર૬ પ્લોટ નં.૩૫૫/રમાં રહેતાં પ્રિયાશું જગદીશકુમાર પ્રજાપતિ દાગીના લોકરમાં મુકી રહયા હતા તે સમયે એક યુવાન ગ્રાહક બનીને આવ્યો હતો. જેણે સોનાની ચેઈન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ અન્ય એક યુવાન દુકાનમાં પ્રવેશ્યો હતો અને તેણે સોનાની વીંટી માંગી હતી.