ગુજરાત
News of Wednesday, 8th January 2020

જગન્નાથ મંદિરની જમીન વિવાદ : જમીન ટ્રસ્ટના નામે નહિ મહંતના નામે આપી : ઘાસ ઉગી શકે એમ નહોતું એટલે જમીન ભાડાપટ્ટે આપી

મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે ભંગ કરેલો છે.પણ ઉદ્દેશ ખોટો નહોતો પણ હવે ચેરિટી કમિશનર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેનું પાલન કરાશે

અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિર દ્વારા જમીનનું 800 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઇ રહયો છે અને મંદિરને મળેલી જમીન મંદિર ટ્રસ્ટએ અન્યને વેચી દીધી છે.

 આ અંગેની વિગત એવી છે કે AMCએ 1992માં બહેરામપુરાના સરવે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેકટરની અશાંત ધારાની મંજૂરી વિના આ જમીન  બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી.

   જમીન ગૌચર માટે આપી હોવા છતાં તેનો કૉમેરસિયલ હેતુ માટે ઉપયોગ કરવાની તૈયારી થઈ ગઈ છે. ગૌચરની જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું કામ કાજ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આમ મોટા પાયે ભ્રષ્ટાચાર  કરાયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.અરજી થતા હવે ચેરિટી કમિશનરે સમગ્ર મામલે ચુકાદો આપ્યો છે. તો બીજી તરફ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે એ જગ્યા છે તે મંદિરના પૂર્વ મહંત કે જેઓ ખેડૂત પણ હતા તેને આપી હતી. જે તે સમયે ભાડા ચિઠ્ઠી મહંતના નામ પર જ આવતી હતી.

   ચેરિટી વિભાગમાં જે તે સમયે અરજી કરી હતી પરંતુ ટ્રસ્ટના નામ પર થઈ નહીં કારણ કે મહંતના નામ પર જમીન આપવામાં આવી હતી તો બીજી તરફ AMC દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી. તે પ્લોટિંગ કરીને આપી હતી જેમાંથી 40 ટકા જમીન પરત લઈ લીધી હતી. એટલે મંદિરને તો માત્ર 70 હજાર વાર જગ્યા જ મળી છે. જે જગ્યા મળી તેમાંથી 2000 વાર જગ્યા ગટર લાઈન નાખવા માટે AMCએ પરત લીધી હતી. જેમાંથી ગટરનું પાણી ઉભરાય છે. જેથી ત્યાં ગાય માટે ઘાસ ઉગી શકે એમ નહોતું. જેથી એ જે જગ્યા પેટા ભાડે આપી તેમાંથી જે ભાડું આવતું હતું તેમાંથી અન્ય જગ્યા પર 10 ગણી વધારે જગ્યા રાખી અને ત્યાં ગૌ શાળા માટે ઘાસ ઉગાડવામાં આવે છે.
   અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે જમીન નો વિવાદ છે તે સુએજ ફાર્મની જગ્યા છે. જેની માલિકી AMCની હતી પછી વર્ષ 1992માં સ્ટેન્ડીંગ કમિટીએ ઠરાવ કરી જમીન ગૌ સેવા માટે કાયમી ભાડાપટ્ટે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ (જગન્નાથમંદિર, જમાલપુર)ને આપી હતી. જેનો હેતુ માત્ર ગાયો માટે ઘાસ ઉગાડવાનો હતો.પછી ૨૦૧૮માં દસ્તાવેજ કરી આ જમીન શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વતી ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી દીધી હતી. એટલે કાયદાકીય રીતે જોઈએ તો મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે ભંગ કરેલો છે. એ હકીકત છે પણ ઉદ્દેશ ખોટો નહોતો પણ હવે ચેરિટી કમિશનર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેનું પાલન કરવામાં આવશે
મંદિર ટ્રસ્ટ કહી રહ્યું છે કે જે પણ થયું છે તે તમામ ટ્રસ્ટી સાથે બેસીને બધાની સંમતિથી થયેલું છે. કોઈને અંધારામાં રાખીને કરવામાં આવ્યું નથી કારણ કે જે જગ્યા મંદિરને AMCદ્વારા ફાળવવામાં આવી છે. તેમાં ગૌ શાળા માટે ઘાસ ઉગી શકે નહીં જેથી એ જગ્યાને ભાડે આપી તેમાંથી અન્ય જગ્યા પર જમીન ખરીદવામાં આવી છે.

(8:34 pm IST)