કપડવંજના મુવાડાની પરિણીતા પર પતિએ હિંસક બની માર માર્યાની ફરિયાદ
કપડવંજ: તાલુકાના માલાઈંટાડી તાબે તાડના મુવાડામાં રહેતા ગીતાબેન હીરાભાઈ સોઢાપરમારને આજથી સાતેક વર્ષ અગાઉ પતિ હીરાભાઈ સાથે અણબનાવ બનતાં તે તેના ચાર પુત્રોને મૂકી તેના પિયરમાં ચાલી ગઈ હતી. અને તેના પતિ વિરૂધ્ધ બાલાસિનોર કોર્ટમા ખાધાખોરાકીનો કેસ મૂક્યો હતો. જે કેસ હાલ ચાલુ છે. દરમિયાન હીરાભાઈએ બીજી મહિલા સાથે મૈત્રીકરાર કરી લીધાં હતાં. ત્રણ માસ અગાઉ ગીતાબેન તેમના બાળકો સાથે રહેવા માટે સાસરીમાં આવી હતી. આજરોજ સવારના સમયે હીરાભાઈએ પત્ની ગીતાબેન સાથે ઝઘડો કરી તારે મારા ઘરમાં રહેવાનું નથી, ઘરમાંથી બહાર નીકળી જા તેમ કહી મારઝુડ કરી હતી. સાસુ દાલીબેન અને સસરાં કાભાભાઈ કાનાભાઈ પરમારે પણ ગીતાબેનને ઘર બહાર કાઢી મૂકવાની ચઢામણી કરી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે ગીતાબેન હીરાભાઈ સોઢાપરમારની ફરિયાદને આધારે કપડવંજ રૂરલ zપોલીસે હીરાભાઈ કાભાભાઈ સોઢાપરમાર, કાભાભાઈ કાનાભાઈ સોઢાપરમાર અને દાલીબેન કાભાભાઈ સોઢાપરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.