બિનસચિવાલય પરિક્ષા મુદ્દે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલનમાં માત્ર એક ધારાસભ્ય અને 3પ પરિક્ષાર્થીઓ જોવા મળ્યા
ગાંધીનગર: ચાર દિવસ પહેલા શરૂ થયેલું બિનસચિવાલય પરીક્ષા રદ કરોનું આંદોલન ધીરે ધીરે રાજકીય સ્વરૂપ પકડાતુ ગયું. ચાર દિવસ પહેલા હજ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા, અને પરીક્ષા રદ કરોની ગુહાર સરકાર સામે લગાવી હતી. હવે આ આંદોલન એટલું ઢીલુ પડ્યું છે કે, ગાંધીનગરમાં હવે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ જ શનિવારની સવારે જોવા મળ્યા. આંદોલનમાં જોડાયેલા નેતાઓ પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે. હાલ આંદોલનના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, સ્થળ પર 35 જેટલા પરિક્ષાર્થીઓ જ હાજર જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ, કોંગ્રેસે 5 ધારાસભ્યો રોજ ઉપવાસમાં જોડાશે તેવી વાત કરી હતી, ત્યારે આજે માત્ર ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જ આંદોલનમાં જોવા મળ્યા હતા.
બિનસચિવાલય પરીક્ષા (બિનસચિવાલય) રદ્દ કરવાની માંગ સાથે ચાલુ થયેલુ આંદોલન એક પ્રકારે હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે. બે દિવસમાં ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિતનાં નેતાઓ હવે આંદોલનમાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આંદોલન સ્થળે બેસી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ગાંધીનગરમાં આંદોલન સ્થળ પર બે દિવસ સ્થાનિક કોંગ્રેસી આગેવાનો જોવા મળ્યા હતા. પરંતુ હવે આ આંદોલન સાવ તૂટી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજે આંગળીના વેઢે ગણી શકાય તેટલા વિદ્યાર્થીઓ જ આંદોલન સ્થળે જોવા મળી રહ્યાં છે.
સ્થળ પર આજે જોવા મળેલા કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઝી 24 કલાકને જણાવ્યું કે, બધાને દિવસ પ્રમાણે આંદોલન ફાળવાયું છે. વિદ્યાર્થી નેતાઓએ કહ્યું હતું કે, રાજકીય નેતાઓએ તેમાંથી બહાર નીકળી જવું જોઈએ. તેથી અમે બહાર નીકળી ગયા હતા. પણ અમે વિદ્યાર્થીઓની સાથે છીએ. ગઈકાલે હું મારા વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે અહી આંદોલનમાં જોડાયો છું. 9 તારીખે અમે વિધાનસભા તરફ કૂચ કરીશું. 182 ધારાસભ્યોના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, તો તમામે આવવું જોઈએ.
એનએસયુઆઈનું કોલેજ બંધ એલાન
કોંગ્રેસ દ્વારા તમામ વિદ્યાર્થીઓને 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચ કરવા માટેનું આવહાન કરાયું છે. તો બીજી તરફ, NSUIએ આજે રાજ્યભરની કોલેજો બંધનું એલાન કર્યું છે. બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUIએ બંધના એલાનની જાહેરાત કરી છે. જેને લઈને હવે તમામ કાર્યકરો રાજ્યભરમાં કોલેજોને બંધ કરાવવા નીકળી પડ્યા છે. તો અનેક કોલેજોએ હોબાળો ન થાય તે ડરથી અગાઉથી શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે.