બારડોલી: કામરેજ ચાર રસ્તા નજીક ગઠિયાએ એનઆઇઆર યુવતીના 30 તોલા દાગીના તફડાવ્યા
બારડોલી:કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી ડીવાયએસપી કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસની કચેરી નજીક પાર્ક કરેલી બલેનો ગાડીનો કાચ તોડી સુરતની એનઆરઆઈ યુવતીનાં રૂ.૪.૫૦ લાખનાં ૩૦ તોલા સોનાના દાગીના તસ્કરો ચોરી ગયા હતા. એનઆરઆઈ યુવતી કામરેજ ચાર રસ્તા ખાતે બેંક નાંલોકરમાંથી દાગીના લઈ થેલી ગાડીનાં ડ્રોઅરમાં મુકી નાસ્તો કરવા ગઈ હતી.
સુરતનાં નાના વરાછા ગામે કોળી ફળિયામાં રહેતી નમ્રતા અશોકભાઈ પટેલ હાલમાં અમેરિકામાં રહે છે અને નોકરી કરે છે. રર-૧૧-૧૮નાં રોજ નમ્રતા પટેલ અમેરિકાથી આવી નાના વરાછા માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. ગુરુવારે સવારે પોણા અગીયાર વાગ્યે નમ્રતા પટેલ પોતાની બલેનો ગાડી (નં.જીજે.પ.જેબી.૩પપ૩)નાં ડ્રાઈવર સંજય સાથે ખોલવડ ગામે પોતાની બહેન ડિમ્પલ ત્યાં ગઈ હતી. ત્યાંથી તે બંને ગાડીમાં કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી બેંક ઓફ ઈન્ડિયા શાખામાં જઈ ત્યાં લોકરમાં મુકેલા સોનાનાં પાંચ સેટ, બંગડી, ચેઈન, વીંટી, માળા, લુશ, પાંચ પેન્ડલ, પાંચ બ્રેસલેટ મળી તમામ ૩૦ તોલા સોનાનાં દાગીના કિંમત રૂા.૪,પ૦,૦૦૦નાં લઈ થેલીમાં મુક્યા હતા. નમ્રતા પટેલે ૩૦ તોલા દાગીનાની કાપડની થેલી ગાડીનાં ડ્રોવરમાં મુક્યા હતા. બંને બહેનો ગાડી લઈ કામરેજ ચાર રસ્તા ડીવાયએસપી કચેરી નજીક પાર્ક કરીને ખાઉધરા ગલીમાં ડ્રાઈવર સંજય સાથે નાસ્તો કરવા ગઈ હતી.