જાન્યુઆરી પ્રારંભે ૩૮ ગરીબ કલ્યાણ મેળાઃ સહાયની રકમમાં ૩ ગણો વધારો
લોકસભાની ચૂંટણી પૂર્વે ગરીબોને રાજી કરવાનો સરકારનો પ્રયાસઃ રૂ. ૨૧ હજારની મર્યાદામાં મોટી વસ્તુઓ અપાશે
રાજકોટ, તા. ૭ :. રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ હસ્તક રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળા યોજવાનું આયોજન થઈ રહ્યુ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે જાન્યુઆરી પ્રારંભે તમામ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. સરકારે અગાઉ લાભાર્થીઓની જરૂરીયાત અંગે સર્વે કરાવી તેને અનુરૂપ ફેરફાર કર્યો છે.
ભૂતકાળમાં બબ્બે પ્રાંત વિસ્તાર દીઠ એક-એક મેળો યોજવાનું વિચારી રહી છે. અગાઉના કલ્યાણ મેળામાં ગરીબોને રૂ. ૭ હજારની મર્યાદામાં અને વંચિતતા ધરાવતા પરિવારોને રૂ. ૧૫ હજારની મર્યાદામાં સાધન સામગ્રી અપાતી તેના બદલે સરકારે આ વખતે તમામ લાભાર્થીઓ માટેની સહાય મર્યાદા વધારીને લાભાર્થી દીઠ રૂ. ૨૧ હજારની કરી છે. લાભાર્થીઓને નાની - નાની વસ્તુઓના બદલે મોટી વસ્તુ અપાશે. જિલ્લાવાર એક-એક લેખે ૩૩ અને ચાર-પાંચ મહાનગરોમાં અલગ મળીને કુલ ૩૮ જેટલા ગરીબ કલ્યાણ મેળા યોજાશે. દરેક મેળામાં અલગ અલગ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને સરકારની સિદ્ધિઓ વર્ણવશે.