ગુજરાત
News of Friday, 7th December 2018

લોક ગઠબંધન પાર્ટી ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં

તમામ ૨૬ બઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત : લોક ગઠબંધન પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરાયો

અમદાવાદ, તા.૬: આગામી લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાત સહિત દેશભરમાં રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ અને રાજકીય તખ્તા ગોઠવાઇ રહ્યા છે ત્યારે આજે રાજકીય પક્ષ લોક ગઠબંધન પાર્ટીએ ગુજરાતની ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરતાં રાજકારણ ગરમાયું છે. લોક ગઠબંધન પાર્ટી દ્વારા ગુજરાતની તમામ ૨૬ બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરાઇ હતી. એટલું જ નહી, લોક ગઠબંધન પાર્ટી દ્વારા 'સ્વચ્છ સરકાર અભિયાન' અંતર્ગત એન્ટી કરપ્શન, યુવાનો માટે વિકાસ પ્રવૃતિઓ અને મધ્યમવર્ગીય લોકો સુધી લાભો પહોંચાડવા જેવા વચનો સાથે પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ જારી કરવામાં આવ્યો હતો. આજે અમદાવાદમાં એલજીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયશંકર પાંડે, એલજીપીના ગુજરાતના પ્રમુખ ધનંજય પાંડે અને જનરલ સેક્રેટરી યોગેશ મહેતાએ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોક ગઠબંધન પાર્ટી ગુજરાતની સાથે સાથે અમારો પક્ષ યુપી અને હિમાચલમાંથી પણ ચૂંટણી લડશે. અગાઉ પાર્ટીએ ગુજરાતની ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો પરથી ચૂંટણી લડી હતી અને પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. રાજકારણના ઊંડા વમળમાં ઉતરવાના હેતુથી અને હાલના રાજકીય પક્ષોની પૈસા અને બાહુબળની તાકાતને પડકારવા માટે સેવાનિવૃત આઈએએસ અધિકારી વિજય શંકર પાંડે અને અન્ અનેક સેવાનિવૃત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અને ટેકનોક્રેટ્સ દ્વારા તેમના રાજકીય પક્ષ લોકગઠબંધનની ગુજરાતમાં ઘોષણા કરવામાં આવી હતી. સારી એવી સંખ્યામાં લોકો કે જેઓ દેશભરમાં ચાલતા અભિયાન આઈઆરઆઈ (ઈન્ડિયા રિજુવેનેશન ઈનિશિયેટીવ)માં સામેલ છે અને તેમાં પૂર્વ ચીફ જસ્ટિસો, પૂર્વ સ્ટેટ પોલીસ ચીફ્સ, નિવૃત અને સેવામાં રહેલા અમલદારો અને સોશિયલ એક્ટિવિસ્ટ્સ સભ્યો તરીકે સામેલ છે, તેઓ નવરચિત લોક ગઠબંધન પાર્ટી (એલજીપી)માં જોડાયા છે. આ વર્ષની ચૂંટણી વિશે વાત કરતા પાંડેએ કહ્યું હતું કે તેઓ અને અન્ય અધિકારીઓ તથા ટેક્નોક્રેટ્સ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લોક ગઠબંધન પાર્ટીમાંથી લડશે. આ પાર્ટીની રચના ઓક્ટોબર ૨૦૧૬માં થઈ હતી. તેઓ ફૈઝાબાદ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ઊભા રહેશે, જ્યાં તેઓ અગાઉ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. રિટાયર્ડ આઈએએસ અધિકારી વિજયશંકર પાંડે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડનારા આક્રમક યોદ્ધા સાબિત એ સમયે થયા જ્યારે તેમણે યુપી કેડરના ત્રણ સૌથી ભ્રષ્ટ અધિકારીઓને ઓળખવા માટે ચૂંટણી યોજી હતી. એલજીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયશંકર પાંડે, એલજીપીના ગુજરાતના પ્રમુખ ધનંજય પાંડે અને જનરલ સેક્રેટરી યોગેશ મહેતાએ વધુમાં ઉમેર્યું કે, એલજીપીએ તેની વેબસાઈટ  પણ લોન્ચ કરી છે અને સાથે ચૂંટણી અભિયાન પણ શરૂ કર્યુ છે. ફંડનો અને સંસાધનોનાં અભાવ વિશે તેમણે કહ્યું હતું કે એલજીપીના સભ્યોની પ્રામાણિકતા, અખંડિતતા અને તેમના સ્વચ્છ ભૂતકાળ જ તેમની સૌથી મોટી સંપત્તિ છે જે આજે ગેરકાયદે સંપત્તિ પ્રાપ્ત કરનારા, ક્રિમિનલ કેસોનો સામનો કરી રહેલા અને બાહુબળનો ઉપયોગ કરનારા મોટાભાગના રાજકારણીઓની સંપત્તિ કરતા વધુ વિશાળ છે. જ્યારે તેમને રાજનીતિમાં પ્રવેશ અંગેનું કારણ પૂછવામાં આવ્યું તો પાંડેએ કહ્યું હતું કે જો કોઈ સડેલી સિસ્ટમમાં ખરેખર પરિવર્તન ઈચ્છે છે તો એ માટે સત્તા જ એકમાત્ર ચાવી છે. અમને વિશ્વાસ છે કે, ગુજરાતની જનતા તે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશે.

(9:57 pm IST)