વિહિપની બાઇક રેલીને ઘણા સ્થળો પર લીલીઝંડી ન મળી
૮ ડિસેમ્બરે લોકસંપર્ક અને બેઠકો સહિતની તૈયારી : કેટલાક વિસ્તારોમાં બાઈક રેલીનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ પડતો મુકાયો : અનેક વિસ્તારમાં બાઈક રેલીઓ યોજાઈ
અમદાવાદ, તા.૬: અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં રાષ્ટ્રવ્યાપી જનજાગરણ અને લોકજુવાળ ઉભુ કરવાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૯મી ડિસેમ્બર શહેરના અમરાઇવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે ૧૩૨ રીંગ રોડ પર સ્વસ્તિક ચાર રસ્તા ખાતે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે અમદાવાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ૧૩ જેટલા સ્થાનાઓ બાઇક રેલીનું આયોજન કરાયું હતું પરંતુ આજે ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ હોઇ પોલીસે બાઇક રેલીની મંજૂરી નહી આપતાં અમુક વિસ્તારોમાં આ કાર્યક્રમ છેલ્લી ઘડીયે પડતો મૂકાયો હતો તો, છ-સાત વિસ્તારમાં આ બાઇક રેલી નીકાળી શકાઇ હતી. જેમાં ખોખરા, મણિનગર, શાહપુર, સાબરમતી સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. હવે આવતીકાલે ઝાંઝરકાના મહામંડલેશ્વર શંભુપ્રસાદજીના હસ્તે વિરાટ ધર્મસભાના સ્થાને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ તા.૮મીએ વિરાટ ધર્મસભાની છેલ્લા તબક્કાની તૈયારીના ભાગરૂપે ઘેર-ઘેર લોકસંપર્ક અને બેઠકોનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરાયું છે. તા.૯મી ડિસેમ્બરની વિહિપની આ વિરાટ ધર્મસભામાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારો-ગામડાઓમાંથી દોઢેક લાખથી વધુ જનમેદની ઉમટે તેવી શકયતા છે. જેનો મુખ્ય ધ્યેય રામંદિર નિર્માણનો અને લોકલાગણીને સાકાર કરવાનો છે એમ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના મંત્રી અશોકભાઇ રાવલે જણાવ્યું હતું. દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદની આ વિરાટ ધર્મસભામાં ભાજપના હજારો કાર્યકરો અને આગેવાનો પણ પહોંચવાના છે. આ માટે પક્ષ તરફથી તેઓને ખાસ સૂચનાઓ જારી કરાઇ છે. નવા વાડજ વોર્ડ ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી અને મહામંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વિવિધ વોર્ડ અને વિસ્તારોમાંથી ભાજપના હજારો કાર્યકરો અને આગેવાનો ખાનગી વાહનો, કાર, લકઝરીઓ-બસો મારફતે તા.૯મીની ધર્મસભામાં ભાગ લેવા જવાના છે. આ માટે વાહનોના પાર્કિંગ સહિતની વ્યવસ્થાનું પણ આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામમંદિર એ લોકોની લાગણી અને માંગણી બની રહી છે ત્યારે ભાજપના કાર્યકરો અને આગેવાનોને રામમંદિરના નિર્માણ માટે મહત્તમ જનમેદની ઉમટે તેની વ્યવસ્થા અને પ્રયાસો કરવા ભાજપના નેતાઓ દ્વારા ખાસ તાકીદ કરાઇ છે. કારણ કે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ ભાજપ માટે રામમંદિર એ બહુ મહત્વનો અને નિર્ણાયક મુદ્દો છે. તેથી ભાજપ રામમંદિરને લઇ પબ્લીકનો વધુ ને વધુ સોફ્ટ કોર્નર અને હિન્દુત્વની લાગણી મેળવવા માંગે છે. તેથી ભાજપના કાર્યકરો અને આગેવાનો વિહિપની વિરાટ ધર્મસભાને સાચા અર્થમાં વિરાટ અને સફળ બનાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. દરમ્યાન આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડો.આંબડેકરની વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રતિમાઓને પુષ્પાંજલિ અને મહાઆરતીનું આયોજન કરી તેમને ખાસ શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે દલિત આગેવાનો અને સ્થાનિક નેતાઓ પણ ખાસ હાજર રહ્યા હતા.