આનંદનગરમાં પીઆઇની ઓળખ આપી જમીન દલાલે ટ્રાફિક પોલીસ સાથે દુર્વ્યવહાર કરતા ગુનો દાખલ
આનંદનગર: ખાતે પ્રહલાદનગર રોડ પર ગેરકાયદેસર પાર્ક થયેલી કારને પોલીસે લોક કર્યું હતું. કાર માલિકે પોતાની ઓળખ રાણીપ પીઆઈ વિ.એચ.રાઠોડ તરીકે આપી જો કે, ટ્રાફિક જમાદારે દંડ ભરવાનો આગ્રહ કર્યો હતો. જેના પગલે પોલીસ પર કારમાલિકે રોફ જમાવવાનું શરૂ કર્યું હતું. ટ્રાફિક પોલીસે આ અંગે રાણીપ પીઆઈ જોડે વાત કરતાં પોલ ખુલી કે,કાર માલિક ખોટું બોલી રહ્યો છે. આનંદનગર પોલીસે પીઆઈ તરીકે ઓળખ આપનાર કાર માલિક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલેલી વિગત મૂજબ પકડાયેલો આરોપી જમીન દલાલની કામ કરે છે. પોલીસ પર રોફ જમાવવા પીઆઈ તરીકેની ઓળખ આપી હતી.એન ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ક્રેન નંબર ૧૦ના સ્ટાફ સાથે મંગળવારે બપોરે ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનો ટોઈંગ કરવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં પ્રહલાદનગર રોડ પર એક કાર ખોટી રીતે પાર્ક થયેલી હતી. આથી,રમેશભાઈએ આ કારને લોક કર્યું હતું. દરમિયાનમાં અન્ય ક્રેનના ઈન્ચાર્જે ફોન કરીને રમેશભાઈને જાણ કરી કે, તમે જે કારને લોક કર્યું છે તે પીઆઈ સાહેબ આવી ગયા છે. આથી,રમેશભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. તે સમયે પ્રહલાદનગર ખાતે કોર્પોરેટ રોડ પર આવેલા રોયલ ઓર્ચિડમાં રહેતાં કારના માલિક વિનોદસિંહ હરિસિંહ રાઠોડ (ઉં.૫૩)એ પોતે રાણીપ પીઆઈ વિ.એચ.રાઠોડ હોવાનું હેડ કોન્સ્ટેબલ રમેશભાઈને જણાવ્યું હતું.