સુરત ઘોઘારી લોહાણા મહાજન દ્વારા 'સંગાથે સુખ શોધીએ' અનોખો કાર્યક્રમ
નાની - નાની બાબતોમાં સુખ કેવી રીતે મેળવી શકાય ? સુખ આપણી આજુબાજુ જ છે, પણ આપણને દેખાતું નથીઃ જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્યને જ્ઞાતિજનોએ પેટભરીને માણ્યા : ૧૫ જ્ઞાતિ રત્નોનું સન્માન : વડિલ વંદના સુરત ઘોઘારી લોહાણા મહાજનના યુવા પ્રમુખ વ્રજેશ ઉનડકટ દ્વારા એકપછી એક જ્ઞાતિ ઉત્કર્ષના અવનવા પ્રેરણાદાયી કાર્યક્રમો
સુરત : શ્રી ઘોઘારી લોહાણા મહાજન સુરત આયોજીત રઘુવંશી રત્ન એવોર્ડ ૨૦૧૮ તેમજ જાણીતા લેખક વકતા શ્રી જય વસાવડા અને શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય સાથે સામાજીક કાર્યક્રમ 'સંગાથે સુખ શોધીએ'નો અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો.
સમાજના ૧૫ પ્રતિષ્ઠિત વ્યકિતઓ જેમણે લોહાણા સમાજ સુરત માટે વર્ષો સુધી સેવા કરી અને કરી રહ્યા છે એવા સમાજના વડીલોનું મોમેન્ટો અને શાલ ઓઢાડીને સન્માન કર્યું. સમાજના ૪ વડીલો જે દિવંગત થઈ ગયા એમની સ્મૃતિને વંદન કરી એમના પરિવારોને સન્માનિત કર્યા. વડીલોને એમણે કરેલી સમાજની સેવાને મહાજને યાદ કરી એમને સન્માનિત કર્યા એ બદલ એમની આંખોમાં સ્પષ્ટ આંસુઓ દેખાઈ રહ્યા હતા અને મહાજન પ્રત્યેનો એમનો પ્રેમ પણ છલકાઈ રહ્યો હતો.
શ્રી જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્યએ શબ્દોના શણગારથી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોના દિલ મોહી અને જીતી લીધા.
'સંગાથે સુખ શોધીએ'એ વિષય એટલા માટે કે સુખ આપણી આજુ બાજુ જ છે પણ આપણને દેખાતું નથી..જયભાઈ અને કાજલબેને નાની નાની બાબતોમાં સુખ કેવી રીતે મેળવી શકાય એ ખુબજ સહજ શબ્દોમાં સમજાવ્યું. લોકો ને સમાજ પ્રત્યેની જવાબદારી, સમાજ પ્રત્યેની ભાવના એકબીજામાં આદરભાવ અને સમાજ સંગઠિત રહે તો સમાજમાં શંુ ન કરી શકીએ તેવા તમામ વિષયોને આવરી, બન્ને વકતાઓએ સમાજને એક નવી દિશા આપી.
આવા કાર્યક્રમો અને રઘુવંશી રત્ન એવોર્ડ શ્રી ઘોઘારી લોહાણા મહાજન દર વર્ષે યોજશે. આ કાર્યક્રમથી સમાજનો એક નવો વર્ગ સમાજમાં આવતો થયો. સમાજમાં માત્ર જમણવાર કરવાથી સમાજ સંગઠિત થાય એવું નથી પણ સમાજમાં અવનવા કાર્યક્રમ કરીએ તો જ સમાજનો યુવા વર્ગ સમાજથી જોડાયેલો રહેશે. તેમ શ્રી વ્રજેશ ઉનડકટે જણાવેલ. આ કાર્યક્રમ ને નિહાળવા સુરત, પાલ, અડાજણ વિસ્તારમાંથી આવેલ, જ્ઞાતિજનોથી સંજીવકુમાર ઓડિટોરિયમ ખચોંખચ ભરાઈ ગયો હતો.
કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર શ્રી શૈલેષભાઇ સોનપાલ અને કો સ્પોન્સર શ્રી જીગ્નેશભાઈ માધવાણી તેમજ સમાજ ના સૌ વડીલોએ આ કાર્યક્રમ માટે સહયોગ આપ્યો તેમનો તેમજ આટલી મોટી સંખ્યા માં આ કાર્યક્રમ ને નિહાળવા ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો શ્રી વ્રજેશ ઉનડકટ (મો. ૯૩૭૪૯ ૯૯૯૯૯)એ હૃદય પૂર્વક આભાર માન્યો હતો.(૨૧.૨૪)