ગુજરાત
News of Thursday, 6th December 2018

સરકાર પાસે ૧૦ લાખ ટન મગફળી ભેગી થઇ જશે : નિકાલની સમસ્યા

ગયા વરસની ૩ લાખ ટન પડી છે, આ વર્ષે બીજી સાતેક લાખ ટન ઉમેરાશે : જાળવણીમાં કસોટી : સરકાર તેલ કાઢે તો પાર વગરની પરોજણ, તેલીયા રાજાઓને વેચે તો પુરતા ભાવ આવવાની શકયતા નહિ : પડતર રાખે તો બગડી જવાનો ભય

રાજકોટ, તા. ૬ :  રાજયના ખેડૂતો પાસેથી નાફેડ દ્વારા રાજય સરકારની નોડલ એજન્સી નાગરિક પુરવઠા નિગમ હસ્તક વ્યવસ્થા રાખી ટેક્ષના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. સરકાર પાસે ગયા વરસનો ઘણો જથ્થો પડયો છે. તેમાં આ વરસના મગફળીના જથ્થાનો ઉમેરો થવા લાગ્યો છે. બે વરસની મળી કુલ દસેક લાખ મેટ્રીક ટન મગફળી ભેગી થશે તેનો નિકાલ કઇ રીતે કરવો તે સરકાર માટે સમસ્યા થઇ રહી છે. સત્તાવાર રીતે મગફળીની માલિકી નાફેડની ગણાય છે પણ રાજય સરકારે તેનો ઉપયોગ કરી નાફેડને પૈસા ચુકવવા ફરજીયાત છે. સરકાર મગફળીનું તેલ કાઢે અથવા ખાનગી વેપારીઓ અને તેલિયા રાજાઓને વેચી દયે તે વિકલ્પ છે. જો મગફળી પડતર રહે તો ખરાબ થઇ જવાનો ભય રહે છે.

માહીતગાર સુત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષે સરકારે ૬ લાખ મેટ્રીક ટન જેટલી મગફળી ખરીદેલ જેમાંથી ત્રણેક લાખ ટન મગફળી હજુ પડતર છે. મગફળીનો નિકાલ કરવાની શરતે જ નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવતી હોય છે. ગયા વર્ષની પડતર અને આ વર્ષની ખરીદવામાં આવી રહેલ મગફળી ગોડાઉનોમાં એકત્ર થઇ રહી છે. બંન્ને વર્ષનો  મળી દસેક લાખ ટન મગફળીનો જથ્થો ભેગો થવાનો અંદાજ છે. સરકાર મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવા માટે તેમાંથી તેલ કાઢી શકે છે. ઉપરાંત ખાનગી મીલરોને પણ હરરાજીથી વેચી શકે છે. હરરાજી વખતે મગફળીના પુરતા ભાવ મળવાની શકયતા નહિવત રહે છે. જો સરકાર પડતર ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચે તો નુકશાનીનો આંકડો વધી જાય અને આક્ષેપથી સંભાવના રહે. મગફળીને લાંબો સમય જાળવી રાખવામાં પણ સરકારની કસોટી છે.

ભુતકાળમાં મગફળીના કારણે સરકાર ખુબ બદનામ થઇ છે. આ વખતે મગફળીની ખરીદીમાં સરકારે જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે. અત્યાર સુધીમાં આશરે રૂ. ૪૦૦ કરોડની મગફળી ખરીદાઇ ગઇ છે. હવે મગફળીની જાળવણી અને તેનો નિકાલ સરકાર માટે સમસ્યારૂપ છે. જો સમયસર નિકાલ ન થાય તો આવતા વખતે નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો લક્ષ્યાંક ઓછો મળે. મગફળીના મુદે મુંઝવણ અનુભવતી સરકાર શું રસ્તો કાઢે છે? તે તો સમય આવ્યે જ ખબર પડશે.(૪.૧૫)

(4:18 pm IST)