ગુજરાત
News of Monday, 7th October 2019

અમદાવાદમાં સાત જગ્યાએ રાવણદહનના કાર્યક્રમ રહેશે

સાબરમતીમાં ૫૧ ફુટ ઉંચું રાવણનું પૂતળું : મણિનગરમાં ૪૫ ફુટ તેમજ કર્ણાવતી કલબમાં ૪૧ ફુટ ઉંચા રાવણદહન : દશેરા પર્વને લઇ લોકોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ,તા.૭ : આવતીકાલે આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પવિત્ર પર્વ વિજયાદશમી-દશેરાનો તહેવાર છે, જેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. બીજીબાજુ, દશેરાના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રાવણદહન અને આતશબાજીના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ સાત જગ્યાએ રાવણદહન અને આતશબાજીનુ ભવ્ય આયોજન કરાયું છે. જેમાં શહેરના સાબરમતી વિસ્તારમાં સૌથી મોટા ૫૧ ફુટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. તો, મણિનગર વિસ્તારમાં ૪૫ ફુટ ઉંચા, ઇસ્કોન મંદિર ખાતે ૪૫ ફુટ ઉંચા અને કર્ણાવતી કલબ ખાતે ૪૧ ફુટ ઉંચા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાના દહન કરવામાં આવશે. આમ, આવતીકાલે દશેરાના પર્વની ઉજવણીને લઇ રાવણદહન, રામલીલા, આતશબાજી સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન રાજયભરમાં કરવામાં આવ્યું છે. દશેરાને લઇ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં રાવણદહન, રામલીલા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

            રાવણદહનના કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડવા માટે લગભગ દોઢેક મહિના પહેલાં ઉત્તરપ્રદેશ, આગ્રા સહિતના સ્થળોએથી ૩૦થી વધુ કારીગરો અમદાવાદ શહેરમાં આવી ગયા હતા. જેમના દ્વારા છેલ્લા એક-દોઢ મહિનાની ભારે મહેનત બાદ રાવણ, કુંભકર્ણ, મેઘનાદ સહિતના પૂતળાઓ તૈયાર કરવામાં આવ્યા છે. સૌથી મોટા પૂતળા ૫૧ ફુટના રાવણ અને કુંભકર્ણના તૈયાર કરવામાં આવ્યા છે.  અમદાવાદ ઉપરાંત, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં પણ રાવણદહનના પરંપરાગત અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. અમદાવાદ શહેરમાં સૌથી મોટા ૫૧ ફુટ ઉંચા રાવણના પૂતળાનું દહન સાબરમતી વિસ્તારમાં કરવામાં આવશે. એ સિવાય મણિનગર વિસ્તારમાં ૪૫ ફુટ ઉંચા, ઇસ્કોન મંદિર ખાતે ૪૫ ફુટ ઉંચા અને કર્ણાવતી કલબ ખાતે ૪૧ ફુટ ઉંચા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાના દહન કરવામાં આવશે.

             રાવણદહનના સ્થળોની આસપાસ કોઇ આગ કે અકસ્માતની અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે અગમચેતીના ભાગરૂપે ફાયરબ્રિગેડના ટેન્કરો, પોલીસ સુરક્ષા સહિતની વ્યવસ્થા પણ કરી રખાઇ છે. ખાસ કરીને રાવણદહન જોવા આવનાર નાગરિકો જેમાં મહિલા, બાળકોની સુરક્ષાને લઇ ખાસ તકેદારી રાખવામાં આવી છે. આમ, શહેરમાં કુલ સાત જુદી જુદી જગ્યાએ રાવણદહન અને આતશબાજીના ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દશેરાના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયો છે. લોકોએ દશેરાને લઇ ફાફડા જલેબીની જયાફત સહિતની વિવિધ પ્રકારે ઉજવણીની તૈયારીઓ કરી રાખી છે.

(9:40 pm IST)