ગુજરાત
News of Monday, 7th October 2019

પંચમહાલ જિલ્લાના પાવાગઢ શક્તિપીઠ આસ્થાનું પ્રતિકઃ દસ મહાવિદ્યાઓમાં મહાકાળી પ્રથમ

અમદાવાદ: મહાકાળી માતાના સ્વરૂપમાં તેમની આંખોનું વિશેષ મહત્વ છે. તેમની આંખોમાં ક્રોધ, પ્રેમ, દયાભાવ, માતૃત્વ જેવા દરેક ભાવોની પ્રતિતિ થાય છે. એટલે જ તો અહીં બિરાજમાન માતાની માથાથી આંખો સુધીની મૂર્તિના દર્શન મનને નવી ઉર્જાથી ભરી દે છે. ત્યારે ચાલો શક્તિના મહાકાળી સ્વરૂપના દર્શન કરીએ.

દસ મહાવિદ્યાઓમાં મહાકાળી પ્રથમ છે. એટલે જ તો વિદ્યાપતિ ભગવાન શિવની શક્તિઓ, આ મહાવિદ્યાની અનંત સિધ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે. મહાકાળની પ્રિયતમ મહાકાળી જ પોતાના દક્ષિણ અને વામ રૂપોમાં દસ મહાવિદ્યાઓના નામથી વિખ્યાત થઈ છે. બૃહન્નીલતંત્રમાં કહેવાયુ છે કે રક્ત અને કૃષ્ણભેદથી મહાકાળી જ બે રૂપોમાં અધિષ્ઠિત છે. કૃષ્ણાનું નામ દક્ષિણા અને રક્તવર્ણાનું નામ સુંદરી છે. મહાકાળીની ઉપાસનામાં સંપ્રદાયગત ભેદ છે. પહેલા બે રૂપોમાં તેમની ઉપાસનાનું પ્રચલન હતુ. ભવ-બંધન-મોચનમાં મહાકાળીની ઉપાસના સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. શક્તિ સાધનાના બે પીઠોમાં મહાકાળીની ઉપાસના શ્યામ પીઠ પર કરવા યોગ્ય છે. ભક્તિમાર્ગમાં તો કોઈપણ રૂપમાં તે મહામાયાની ઉપાસના કરવી ફળ આપનારી છે. પણ સિધ્ધિ માટે તેમની ઉપાસના વીરભાવથી કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લો અત્યંત રમણિય પ્રદેશ છે. પ્રકૃતિથી ભર્યાભર્યા આ પ્રદેશમાં જ મા મહાકાળીનું પવિત્રધામ આવેલું છે. વડોદરાથી આશરે 46 કિલોમીટરના અંતરે આવેલું માતાનું આ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. વર્ષો વર્ષથી ભક્તો માતાના દર્શન માટે પાવાગઢની યાત્રા કરે છે. પાવાગઢનો ઈતિહાસ પણ ઘણો જૂનો છે. અહીં પાસે જ વિશ્વ પ્રસિદ્ધિ પામેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ આવેલું છે. પાવાગઢ સુધી પહોંચવા માટે ચાંપાનેર પાસેથી જ પસાર થવું પડે છે. ચાંપાનેરથી આશરે ૪ થી ૫ કિલોમીટર જેટલા અંતરે પાવાગઢ પર્વતના પ્રવેશદ્વાર સમુ માંચી ગામ આવેલું છે. ચાંપાનેરથી માંચી ગામ સુધી પહોંચવાનો સર્પાકાર રસ્તો પ્રવાસીઓને આનંદની અનૂભૂતિ કરાવે છે. પ્રવાસીઓ પ્રકૃતિ સાથે થોડી ક્ષણોમાટે એકાત્મતાનો અનુભવ થાય છે. કહેવાય છે કે મા કાલિનું સ્વરૂપ જેટલું રૌદ્ર છે. તેટલી જ તે પ્રેમાળ પણ છે.એટલે જ મહાકલિને ભક્તો સરળતાથી પ્રસન્ન કરી શકે છે...

ભક્તોના સુખ માટે ભદ્રકાળીનું સ્વરૂપ ધરનારી માતાને રીઝવવા માઈ ભક્તો હરહંમેશ તત્પર હરે છે. આ માટે ભક્તો કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહે છે. કદાચ એટલે જ પાવાગઢના શિખર પર બિરાજમાન માતાના દર્શન માટે ભક્તો પર્વતના કષ્ટદાયક માર્ગે હસતા મોઢે ચાલે છે. ભક્તોના મનમાં માત્ર પર્વતના શિખર પહોંચવી માતાના દર્શન કરવાની લાલસા હોય છે. તેમના મુખમાંથી નિરંતર જય મહાકલિ ના નામનો જાપ થતો રહે છે..તો કોઈ ભક્ત મહાકાલિની સ્તુતિ કરે છે.

આજે પાવાગઢના શિખરે પહોંચવા આશરે 1500 જેટલા પગથિયા ચડવા પડે છે. શરીરે તંદુરસ્ત વ્યક્તિ આ પગથિયા માત્ર એકાદ કલાકમાં જ ચઢી જાય છે. પણ કેટલીયવાર માતા તેમના ભક્તોની પરિક્ષા કરે છે. સરળ લાગતો આ માર્ગ પણ કઠિન બની જાય છે. માર્ગમાં ભક્તો અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. ક્યારેક તેમને શ્વાસ ચડે છે. તો ક્યારેક પગમાં ફોડલા પડી જાય છે. તાપ-ટાઢ ને વરસાદ જેવી કુદરતી આપત્તિની વચ્ચે પણ ભક્તોની અડગ આસ્થા ક્યારેક આશ્ચર્ય પમાડે છે. મા આદ્યાશક્તિના 51 શક્તિપીઠમાં પાવાગઢનો પણ સમાવેશ થાય છે. એટલે જ તો ભક્તોને મન માતાનું આ ધામ વિશેષ મહત્વ ધરાવે છે.

મંદિરના ગર્ભગૃહમાં મહાકાળીના બે સ્વરૂપ દ્રશ્યમાન થાય છે. મહાકાળી માતાનું એક સ્વરૂપ જેમાં માતાનો માથાથી આંખો સુધીનો ભાગ જ દર્શનીય છે. જેને માતાનું મુખૌટુ કહેવાય છે. તો બાજુમાં જ મહાકાળિના સૌમ્ય સ્વરૂપની સંપૂર્ણ મૂર્તિના દર્શન થાય છે. મહાકાલિ માતાની સાથે ગર્ભગૃહમાં બહુચરમાતા પણ સ્થાપિત છે. પુષ્પ, ધુપ અને નાળિયેર ચડાવી ભક્તો અહીં માતાના શ્રધ્ધાભાવથી દર્શન કરે છે. રામકૃષ્ણ પરમહંસના મહાકાલિ માતાના સ્વરૂપ વિશે...કહે છે કે, મારી મા ચૈતન્યનું આધારભૂત કારણ છે. તે અખંડ સચ્ચિદાનંદ છે; અદૃશ્ય વાસ્તવિકતા, જાગૃતિ અને ચરમ આનંદ છે. રાત્રિનું આકાશ તારાઓ સહિત સંપૂર્ણ કાળું હોય છે. સમુદ્રના ઊંડાણનાં જળનો દેખાવ પણ એવો જ હોય છે; જે અનંત, અપરિમિત છે તે હંમેશાં રહસ્યાત્મક રીતે કાળું જ હોય છે. આ મદોન્મત્ત કરી દેનાર ઘેરો કાળો રંગ એ મારી પ્રિય કાલિ મા જ છે.

(5:19 pm IST)