દશેરાના દિવસે RTO કચેરીની બધી જ કામગીરી બંધ રહશે
અમદાવાદ : જો તમારે આર.ટી.ઓ (પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી) કે એ.આર.ટી.ઓ. કચેરીમાં કામ હોય તો દશેરાના દિવસે એટલે કે 8 ઑક્ટોબરના રોજ જતા નહીં. નહીંતર તમને ધક્કો પડશે. કારણ કે આ દિવસે જાહેર રજા હોવાથી બધી જ કામગીરી બંધ રહશે.
એક સમાચાર યાદીમાં જણાવ્યું છે કે 8/10/2019ના રોજ દશેરાના તહેવાર નિમિત્તે આરટીઓ/એઆરટીઓ કચેરીઓ તમામ કામગીરી માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની સૂચનાનુસાર નાગરિકોનો હિતમાં શનિવાર-રવિવાર સહિતની આગામી તમામ જાહેર રજાઓમાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હવે દશેરા તહેવાર નિમિત્તે જાહેર રજાનો રાખવાનો નિર્ણય કરાયો છે.
બીજી તરફ સરકારે પીયુસી, હેલ્મેટ અંગે મહત્વનો નિર્ણય લઈ તેની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ સમય મર્યાદા વધારીને 30 ઑક્ટોબર સુધી કરવામાં આવી છે. HSRP નંબર પ્લેટની મુદત પણ વધારવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે નિર્ણય લીધો છે.
આ મુદ્દે જાણકારી આપતા વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું કે, તહેવારો નજીક હોવાના કારણે પીયુસી અને હેલ્મેટની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. સાથે રિક્ષા ચાલકોની મોટાભાગની માંગ પણ સ્વીકારી લેવામાં આવી છે, અને તેમના માટે પણ સરકારે સકારાત્મક નિર્ણય લીધા છે.
મોટર વ્હિકલ એક્ટના નવા નિયમોના કારણે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરમાં લોકો પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીએ લાંબી લાઇનોમાં ઉભા રહે છે છતાંય તેમના કામ થતા નથી.