ખંભાતના જહાજમાં નજીવી બાબતે લાકડીથી હુમલો થતા એકને ઇજા
ખંભાત: તાલુકાના જહાજ ગામે આજે સવારના સુમારે ગાયો ચરાવવાની બાબતે બે ભાઈઓને અપમાનિત કરીને ગડદાપાટુ તેમજ લાકડીઓથી માર મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે એટ્રોસીટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી હરેશભાઈ કાંતિભાઈ વણકર આજે તળાવની પાળ નજીક બાંધી રાખેલી ગાયોને ચારો નાંખવા માટે ગયા હતા ત્યારે કરણભાઈ જીવાભાઈ વાળા આવી ચઢ્યા હતા અને જણાવ્યું હતુ કે, તમારી ગાયો છુટીને અમારા ડાંગરન પાકમાં ઘુસી જઈને નુકસાન કરે છે. જેથી હરેશભાઈએ જણાવ્યું હતુ કે, અમે તો ગાયો બાંધી રાખીએ છીએ પછી ખેતરમાં કેમની પેસી જાય છે તેમ કહેતાં જ કરણભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી અપમાનજનક ગાળો બોલીને હરેશભાઈને મુક્કાથી ગડદાપાટુનો માર માર્યો હતો. બૂમાબૂમ થતાં અન્ય લોકો આવી જતાં કરણ ત્યાંથી જતો રહ્યો હતો. ઘવાયેલા હરેશભાઈને દવાખાને લઈ જતા હતા. દરમ્યાન કરણભાઈનું ઉપરાણું લઈને મહેશભાઈ બચુભાઈ વાળા, યશરાજ કિરીટભાઈ વાળા તથા મેહુલભાઈ સુરેશભાઈ વાળા લાકડીઓ લઈને તેમના ઘરે પહોંચી ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને ધર્મેશને લાકડીઓથી માર માર્યો હતો.