મોડીરાત્રે હાર્દિક પટેલની તબિયત વધુ ખરાબ સ્થિતિમાં પહોંચી : સીએમઓએ આપી દાખલ થવાની સલાહ :હાર્દિકે કર્યો ઇન્કાર
અમદાવાદ :આજે સાંજે હાર્દિક પટેલનું રૂટિન ચેકઅપ બાદ તેનું યુરિન લેવાયું હતું. તેના આ યુરિનનો રિપોર્ટ મોડી રાત્રે આવ્યો હતો, જેમાં હાર્દિકની તબિયત વધારે ખરાબ સ્થિતિમાં પહોંચી હોવાનું જણાવાયું હતું. આ કારણે સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ હાર્દિકને મળ્યા હતા અને રિપોર્ટના આધારે તેને હોસ્પિટલમાં દાખલ થઈ જવાની સલાહ આપી હતી. જોકે, હાર્દિકે હોસ્પિટલમાં દાખલ થવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક છેલ્લા 13 દિવસથી પાટિદારોને બંધારણિય અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથિરિયા સહિત જેલમાં રહેલા પાટિદાર યુવાનોની જેલમુક્તીની માગણીને લઈને આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. તેણે સાધુ-સંતોની માગણીને શિરે ચડાવીને પાણી ગ્રહણ કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ આજે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 કલાકથી તેણે ફરીથી પાણી પણ ન લેવાની જાહેરાત કરી હતી.