ગાંધીનગરના માણસા તાલુકાના એક ગામમાં મરેલી ગાય ઉપાડવાની ના પાડનાર દલિત યુવકના ઘરમાં ઘુસી ઢોરમાર મારનાર વિરુદ્ધ ગુનો દાખલ
ગાંધીનગર: શહેરના માણસા તાલુકાના એક ગામમાં મરેલી ગાય ઉપાડવાની ના પાડનારા દલિત યુવકના ઘરમાં ઘુસીને એ યુવાન અને એની માતાને ઢોરમાર મારવાની ઘટના બની હતી. હુમલાખોર યુવાન બીજા દિવસે તો જામીન પર મુક્ત પણ થઇ ગયો હતો.
મારપીટનો ભોગ બનનારી મહિલા 55 વર્ષની છે અને એનો પુત્ર પચીસ વર્ષનો છે. પોલીસે જણાવ્યા મુજબ આ ઘટના બીજી અને ત્રીજી ઑગષ્ટની છે. ત્રીજી ઑગષ્ટે હુમલાનો ભોગ બનનારાં મા-દીકરાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે શરાબના નશામાં ધુત સુરેશ સિંહ ચાવડાની ધરપકડ કરી હતી. જો કે ધરપકડના બીજા જ દિવસે સુરેશ સિંહ જામીન પર મુક્ત થઇ ગયો હતો.
માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો મુજબ ગાંધીનગરના મનસા તાલુકાના રંગપુર ગામમાં આ ઘટના બની હતી. ગામના કુલદીપ પરમાર અને એની માતા રંજન પરમાર પર સુરેશ સિંહ ચાવડાએ એ લોકોના ઘરમાં ઘુસીને મારપીટ કરી હતી અને વધુ ગંભીર પરિણામોની ધમકી પણ આપી હતી.