નર્મદા સુગરમાં વિવાદને અંતે આખરે શેરડીના ભાવ જાહેર થયા : ઓછા ભાવને કારણે ખેડૂતોમાં અસંતોષ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા ભરૂચ જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગમાં શેરડીના ભાવ વિવાદને અંતે જાહેર તો થયા પરંતુ અન્ય સુગર મિલોની સરખામણીએ નર્મદા સુગરના ભાવ નીચા હોવાથી ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે.
ત્યારે ખેડૂત આગેવાનો નું કહેવું છે કે નર્મદા સુગર ના ભાવ 3200 થી 3300 પડી શકે તેમ છે પરંતુ સંચાલકોની અણઆવડત અને ગેરવહીવટ ને કારણે ભાવ ઓછા જાહેર થયા છે.એકબાજુ લોકડાઉંન ને કારણે ખેડૂતો ને ખેતી માં ફટકો પડ્યો છે.અને આર્થિક મુશ્કેલી માં વધારો થયો છે તેવા સમયે નર્મદા સુગર ના સંચાલકો એ ખેડૂતો ને પડતા પર પાટુ માર્યું છે.
ગુજકોમાસોલ ડિરેક્ટર અને ખેડૂત આગેવાન સુનિલ પટેલે તો સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું કે આર્થિક મુશ્કેલી માં રહેલા ખેડૂતો ને ઓછા ભાવ આપી સંચાલકો એ ધિરાણ લેવા મજબુર કર્યાં છે આ રીતે ચેરમને ચૂંટણી સમયે ખેડૂતો ધિરાણ લેવા આવે તો ખેડૂતો ની મજબૂરીનો રાજકીય લાભ લઇ શકાય તેવી રાજકીય સોગઠી મારી છે ત્યારે સત્તા લાલસા માં કોરોના મહામારી અને સરકારી જાહેર નામાની પણ અવગણના કરી ચૂંટણી યોજી સત્તા મેળવવા અધીરા બનેલા સુગર ચેરમેન ખેડૂતોના હિતમાં શેરડી ના ભાવ અંગે પુનઃ વિચારણા કરે તેવી માંગ ઉઠી છે.