હોસ્પિટલ સત્વરે ચાલુ કરવા માટેની કોંગ્રેસે રજૂઆત કરી
ગુજરાત હાઈકોર્ટને કોંગ્રેસે પત્ર લખ્યો : વી.એસ. શરૂ કરવા અંગે આપેલ નિર્દેશ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકોર્ટ રજિસ્ટારને પત્ર લખ્યો
અમદાવાદ, તા. ૬ : વીએસ હોસ્પિટલ ચાલુ કરવા અંગે હાઈકોર્ટે તાજેતરમાં વી.એસ. હોસ્પિટલ શરૂ કરવા અંગે આપેલ નિર્દેશ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકોર્ટ રજિસ્ટારને પત્ર લખી ૨૪ કલાકમાં વી.એસ. હોસ્પિટલ પૂર્વવત શરૂ થઈ શકે તેમ છે તેવી રજુઆત કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટારને પત્ર લખી જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ કોર્પોરેશને શક્યતાઓ ચકાસી વી.એસ. હોસ્પિટલને જીવંત કરવા હુકમ કરેલ છે જે સંદર્ભે વિસ્તૃત સૂચન જણાવી રહ્યો છું. અમદાવાદ નગરજનોના સ્વાસ્થ્ય માટે વી.એસ. હોસ્પિટલ પૂર્ણ ક્ષમતાથી ચાલુ કરવી. વી.એસ. તમામ પ્રકારની સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રકચર હોવા છતાં સામાન્ય ઓપીડી ચલાવવામાં આવી રહી છે. ડૉક્ટર્સ, પેરમેડિકલ સહિત અન્ય સ્ટાફ પુરતી સંખ્યા તેમજ ૫૦૦ બેડનું ઈન્ફ્રાસ્ટ્રકચરને કારણે હોસ્પિટલ ચોવીસ કલાકમાં પૂર્વરત ચાલુ થઈ શકે તેમ છે.
વી.એસ.માં ૧૦ વર્ષ અગાઉ નવા બંધાયેલા ટ્રોમા સેન્ટરમાં ૨૨ વેન્ટીલેટર, ૧૦૮ આઈસીયુ બેડ, ૩ ઓપરેશન થિયેટર, સીટી સ્કેન, એમઆરઆઈ, ડિજીટલ એક્સરે, સોનોગ્રાફી મશીનો ઉપલબદ્ધ છે. વીએસમાં ૫૦૦ બેડ શરૂ કરાય તો વાર્ષિક ૧૦ હજાર સર્જરી થઈ શકે છે. દૈનિક ઓપીડીમાં ૮૦૦થી ૧૦૦૦ દર્દીઓની સારવાર કરી શકાય.
જાન્યુઆરી-૧૯ પહેલા વીએસ કાર્યરત હતી ત્યારે તેની ક્ષમતા ૧૦૦૦ બેડની હતી. દૈનિક ૧૬૦૦ દર્દીઓ સારવાર લેતા હતા અને વાર્ષિક ૨૫ હજાર સર્જરી થતી હતી.