ગુજરાત
News of Friday, 7th June 2019

યુવતીએ યુવકના ભારે ત્રાસથી અંતે ઝેરી દવા પીતા સનસનાટી

સાણંદના વિરોચનનગરના બનાવને પગલે ચકચાર : યુવતીના મોતને લઇ પરિવારજનોમાં આક્રોશ : આરોપી યુવકને કડક સજા કરવાની માંગણી : પોલીસની વધુ તપાસ

અમદાવાદ,તા. ૭ : અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા વિરોચનનગરમાં રહેતી એક દલિત યુવતીએ મુસ્લિમ યુવકના લગ્નના દબાણ અને ભયંકર ત્રાસથી કંટાળી વહેલી સવારે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવતીના મોતને લઇ ગરીબ પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તતો હતો અને તેઓએ આરોપી યુવકને આકરી સજા કરવા ઉગ્ર માંગણી કરી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, યુવતીના આપઘાત બાદ પણ આ મુસ્લિમ યુવકે તેના પિતાને ફોન કરી ધમકી આપી હતી કે, તમે કઈપણ કરશો તો પૈસાના જોરે હું છૂટી જઈશ. સાણંદ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ મુસ્લિમ યુવકની ધમકી જોતાં હવે પોલીસે તેને સબક શીખવાડવાની જરૂર છે એવી પણ સ્થાનિક લોકોમાં માંગણી ઉઠી હતી. સાણંદના વિરોચનનગરના દલિતવાસમાં રહેતા જબૂબેન ચાવડાની ૧૯ વર્ષની પુત્રી રંજન સાણંદ જીઆઈડીસીમાં છૂટક મજૂરી કામ કરતી હતી. તા.૫મી જુનના રોજ સાંજે નોકરીથી છૂટી અને રંજન માતા સાથે ઘરે પરત આવતી હતી ત્યારે ટીંબા વાસમાં રહેતો નિઝામખાન પઠાણ નામનો શખ્સ ગાડી લઈને આવ્યો હતો. તેઓ તળાવ પાસે પહોંચ્યા ત્યારે પણ ત્યાં ઉભો રહી ગયો હતો. ઘરે આવી રંજન સુઈ ગઈ હતી. તેની મોટી બહેને પૂછતાં જણાવ્યું હતું કે હું કંટાળી ગઈ છું. કંપનીમાં પણ મારી ઈજ્જત નથી રહી. નિઝામખાન પઠાણ છેલ્લા બે વર્ષથી માનસિક અને શારીરિક ત્રાસ આપી ધમકીઓ આપે છે. દરમ્યાન આજે અચાનક વહેલી સવારે રંજને બૂમ પાડી હતી જેથી લોકો જાગી ગયા હતા. રંજને કોઈ ઝેરી દવા પી લેતા પરિવારજનો તેને સારવાર માટે રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. મુસ્લિમ યુવકના ત્રાસથી કંટાળી આ દલિત યુવતીએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કરતાં સમગ્ર પંથકમાં ભાર ેઅરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, યુવતીએ આપઘાત કર્યો છતાં આરોપી નિઝામખાન પઠાણે રંજનના પિતાને ફોન કરી ધમકી આપી હતી કે, તમે કંઈપણ કરશો તો પૈસાના જોરે હું છૂટી જઈશ. તો સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(9:26 pm IST)