ખંભાત તાલુકાના વત્રામાં ધોળા દહાડે દેરાસરમાંથી ચાંદીના ચક્રોની ચોરી
ખંભાત: તાલુકાના વત્રા ગામે નવા બંધાઈ રહેલા જૈન દેરાસરના મંદિરમાંથી ગત ૩૧મી તારીખના રોજ સવારના સુમારે દર્શનના બહાને ઘુસેલા એક ચોર દ્વારા ચાંદીના ચાર સિધ્ધ કરેલા ચક્રો ચોરી કરીને લઈ જતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ઘરી છે.
ચોરીની મળતી વિગતો અનુસાર વત્રા ગામે જૈન દેરાસરના બાંધકામનું કામ ચાલી રહ્યું છે. ગત ૩૧મી તારીખના રોજ સવારના દશથી સાડા દશેક વાગ્યાના સુમારે એક ૪૫ વર્ષીય શખ્સ કે જે પગે લંગડાતો હતો અને સલેટીયા કલરનું પેન્ટ તથા આસમાની શર્ટ પહેર્યું હતુ તેણે મંદિરના ગોખમાં મુકેલા ચાંદીના ચાર સિદ્ઘ કરેલા ચક્રો કે જેની કિંમત ૧૬ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તેની ચોરી કરીને લઈ ગયો હતો આ અંગે મંદિરના વહિવટકર્તાઓ દ્વારા તપાસ કરી હતી પરંતુ કોઈ મળી ના આવતાં ખંભાત રૂરલ પોલીસ મથકે ભગવતીલાલ રતીલાલભાઈ શાહે ફરિયાદ આપી હતી.