ગુજરાત
News of Friday, 7th May 2021

માસ્ક પહેરતા માતા-પિતાની બાળકો ઉપર વિપરિત અસર

કોરોનામાં જન્મેલા બાળકોને લઈને વધુ એક સમસ્યા : રાજ્યના પીડિયાટ્રિશિયનના અભિપ્રાયે બે વર્ષથી નીચેના બાળકો ચહેરાના હાવભાવને ઝડપથી સમજી શકતા નથી

વડોદરા, તા. ૭ : નવા-નવા પિતા બનેલા નીતિન પરીખને ત્યારે ચિંતા થઈ આવી હતી જ્યારે તેના ૬ મહિનાનો દીકરો હાવભાવ કે સ્મિતની પ્રતિક્રિયા આપી રહ્યો નહોતો. તેણે પીડિયાટ્રિશ્યનનો સંપર્ક કર્યો હતો. જ્યાં ડોક્ટરે તેને જણાવ્યું હતું કે, કોરોના મહામારીની બાળકો પર તદ્દન અલગ અસર પડી છે, ખાસ કરીને તેવા બાળકો જેમની ઉંમર બે વર્ષ કરતાં ઓછી છે. માસ્ક હકીકતમાં કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા માટેનો ઉપાય છે, પરંતુ ઘર પર માતા-પિતા તેમજ દાદા-દાદીના ચહેરા પરનું માસ્ક બાળકોના વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે.

ન્યૂ નોર્મલમાં નવજાત બાળકોની સામાજિક કુશળતા પર ફેસ માસ્ક વિપરીત પ્રભાવ પાડે છે તે અંગે રાજ્યભરના પીડિયાટ્રિશ્યન એકમત છે. 'બે વર્ષથી ઓછી ઉંમરના ઘણા બાળકોમાં સંવેદનાત્મક ઉત્તેજના ખૂટે છે. તેઓ ચહેરાના હાવભાવને ઝડપથી સમજી શકતા નથી અને તેથી તેઓ તમામ કુશળતા સરેરાશ ૨-૩ મહિના મોડા શીખે છે', તેમ એકેડેમી ઓફ પીડિયાટ્રિશ્યન્સ ગુજરાતના એક્ઝિક્યૂટિવ બોર્ડ મેમ્બર ડો. તુષાર શાહે જણાવ્યું હતું.

'જ્યારથી તેમનો જન્મ થયો છે અને તેઓ આસપાસની દુનિયાને સમજતા થયા છે ત્યારથી બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો આસપાસ બધાને માસ્કમાં જુએ છે. તેઓ જ્યારે કોઈને મળે ત્યારે તેમના ચહેરા પરના હાવભાવ જેમ કે, ગુસ્સો, હાસ્ય અને આનંદને જોઈ શકતા નથી. ઘર સિવાય, બાળકો તેમના માતા-પિતાને પણ માસ્કમાં જુએ છે', તેમ શાહે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું.

'સામાન્ય રીતે બાળક ત્રણ મહિનાનું થાય ત્યારથી સ્મિત આપવાનું અને સામેવાળી વ્યક્તિના હાવભાવની પ્રતિક્રિયા આપવા લાગે છે. પરંતુ હવે આ સ્કિલ થોડા મહિના મોડી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા મહિનાથી મને ચિંતિત માતા-પિતાના ફોન આવી રહ્યા છે', તેમ ઈન્ડિયન મેડિકલ અસોસિએશન (આઈએમએ) વડોદરાના પૂર્વ સેક્રેટરી શાહે જણાવ્યું હતું.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, સામાજિક સંપર્કની કમી અને કડક હોમ આઈસોલેશન બાળકોને સમાજમાં એકીકૃત થવાની ક્ષમતાને અસર કરી રહી છે. સુરતના ડોક્ટરોને પણ છ મહિનાથી ૧૮ મહિનાના બાળકોના ચિંતાતુર માતા-પિતા તરફથી ઢગલો ફોન આવી રહ્યા છે. 'દર પાંચમાં દિવસે, અમારી પાસે એવા કેસ આવે છે જેમાં માતા-પિતા નોટિસ કરે છે કે તેમના બાળકમાં કોઈ તકલીફ છે. કેટલાક બાળકો ખરેખર દિવ્યાંગની જેમ વર્તન કરે છે', તેમ સુરતના સીનિયર પીડિયાટ્રિશ્યન ડો. સંજીવ રાવે કહ્યું હતું.

અમદાવાદના ડો. વિરાજ પટેલ નામના પીડિયાર્ટ્શ્યિને કહ્યું હતું કે, 'લાંબાગાળાની અસરોમાં મોડા બોલતા શીખવું, નબળી સામાજિક પ્રતિક્રિયા અને શીખવાની અક્ષમતાઓ પણ હોઈ શકે છે' તેમણે સૂચન આપ્યું હતું કે, પરિવારના સભ્યોએ ખાસ કરીને માતાઓએ સતત બાળકો સાથે વાતચીત કરવી જોઈએ. 'જો બાળક એકથી દોઢ વર્ષનું હોય તો તેની એકાગ્રતા વિકસાવવા માટે ફ્લેશ બોર્ડ અને સોફ્ટ મ્યૂઝિકનો પણ ઉપયોગ કરી શકાય છે', ડો. પટેલે કહ્યું હતું.

માતા-પિતા તેમના બાળકોમાં પ્રતિક્રિયાઓના વિલંબિત વિકાસની નોંધ લઈ રહ્યા છે, તેમ ડો. રાવે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, માસ્ક બાળકોમાં ચહેરા પરના હાવભાવ તેમજ લાગણીઓની કુશળતા વિકસિત થવામાં અવરોધ ઉભો કરે છે. ડો. શાહે વધુમાં ઉમેર્યું હતું કે, મોટાભાગનો સમય ઘરમાં પસાર કરવો અને બહારની વ્યક્તિ સાથે ભાગ્યે જ કોઈ વાતચીતથી બાળકોની સામાજિક અને શીખવાની આવડતને અસર થઈ છે.

વડોદરાના પીડિયાટ્રિશ્યન ડો. બંકિમ પરિખે જણાવ્યું હતું કે, 'બાળકો સામાન્ય રીતે આજુબાજુની દુનિયામાંથી શીખવાનું શરુ કરે છે, જ્યારે તેઓ બે વર્ષના થાય છે. છેલ્લા એક વર્ષથી જે સ્થિતિ છે તેના કારણે બાળકોમાં શીખવાની આવડત મોડી જોવા મળી રહી છે. કેટલાક કિસ્સાઓમાં, કોમ્યુનિકેશનની અછતના કારણે બાળકો મોડા બોલતા શીખે છે'.

(7:35 pm IST)