વડનગર નજીક સાબરમતી નદીમાં ન્હાવા પડેલા અમદાવાદના 12 યુવકોમાંથી ત્રણના ડૂબી જતા મોત
અમદાવાદ : રાજ્યમાં ગરમી જોર પકડતી જાય છે લોકો ગરમીથી બચવા માટે નદી, તળાવ, સ્વીમીંગ પુલ અને દરિયામાં ન્હાવાની મજા લઈ ગરમીમાં રાહત મેળવવાની કોશિસ કરતા હોય છે, તેવામાં સાબરમતી નદીમાં ન્હાવા પડેલા 12 યુવકોમાંથી 3 યુવકોના ડુબી જવાથી મોત નિપજ્યા છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા જીલ્લાના વડનગર તાલુકામાં આવેલ જૂની વાઘડી ગામ પાસે સાબરમતી નદીમાં ગરમીથી રાહત મેળવવા અને નદીમાં ન્હાવાની મજા લેવા 12 યુવકો ગયા હતા. જેમાંથી ત્રણ યુવકો અચાનક નદીના ઉંડાણ વિસ્તારમાં જતા રહેતા ડુબવા લાગ્યા અને અન્ય મિત્રો કઈં સમજે તે પહેલા તો ત્રણે પાણી પી જતા મોતને ભેટ્યા છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 12 મિત્રો વડનગરના જૂની વાઘડી ગામ ખાતે સાબરમતી નદીમાં ન્હાવા માટે ગયા હતા,તેવામાં અચાનક ત્રણ યુવક ન્હાવાની મજા લેતા લેતા ઉંડા પાણીમાં ઘરકાવ થઈ ગયા. અન્ય મિત્રો કઈ સમજે તે પહેલા તો ત્રણે ડુબી ગયા. મિત્રો બચાવવા માટે કોશિસ કરી પરંતુ નિષ્ફળ રહેતા બુમો પાડી, તો સ્થાનિકોની મદદથી ત્રણેને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તો પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
તત્કાલિન 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. હાલામં ત્રણે યુવકને નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે, મૃતકોના પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાં થોડી દિવસ પહેલા જ કાળીડેમમાં ન્હાવા ગયેલા ધોરણ 9ના ચાર વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતા મોતને ભેટ્યા હતા. આ સિવાય ગત મહિને જ અમદાવાદના કાંકરીયા ઈકા ક્લબના સ્વીમીંગ પુલમાં એક બાળકનું ડુબી જતા મોત નિપજ્યું હતું, આ પહેલા આ એપ્રિલ મહિનામાં જ વડોદરામાં પણ મનપા સંચાલિત લાલબાગ સ્વિમિંગ પૂલમાં 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.