ગુજરાત
News of Sunday, 7th March 2021

વડોદરાના સોની પરિવારના આપઘાતના બનાવમાં વધુ એક યુવાનનું મોત થતા કુલ મૃત્‍યુ પાંચ થયા : એક જ સભ્‍ય જીવત રહ્યો : ભારે ગમગીની

પરિવાર સાથે વાસ્તુ શાસ્ત્રને લઈ ખુલાસો થયો છે જેને લઈ વડોદરા પોલીસે અમદાવાદમાં તપાસ શરૂ કરી છે

વડોદરા : વડોદરા સામૂહિક આપઘાત કેસમામાં સોની પરિવારના વધુ એક સભ્યનું મોત થયુ છે. આજે વહેલી સવારે ભાવિન સોનીનું મોત થતા મૃત્યુ આંક 5 પર પહોંચ્યો છે.

વડોદરાના સોની પરિવારે સામૂહિક આપઘાત કેસમાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃતક નરેન્દ્રભાઇ સોનીના પુત્ર ભાવિન સોનીનું આજે સવારે મૃત્યુ થયું છે.

ભાવિન ગઇકાલથી વેન્ટિલેટર પર હતો. જ્યારે ભાવિનની પત્ની ઉર્વીની હાલત ગંભીર છે. આમ હવે સોની પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ જીવીત છે. સામૂહિક આપઘાતમાં ભાવિને પિતા નરેન્દ્રભાઇ, માતા દિપ્તીબેન, બહેન રીયા અને પુત્ર પાર્થને ગુમાવ્યા હતા.

આજે ભાવિનનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુઆંક 5 ઉપર પહોંચ્યો છે. શનિવારે ભાવિનની માતા દિપ્તીબેનનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું.

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત મામલે વધુ એક વળાંક સામે આવ્યો છે. પરિવાર સાથે વાસ્તુ શાસ્ત્રને લઈ ખુલાસો થયો છે. જેને લઈ વડોદરા પોલીસે અમદાવાદમાં તપાસ શરૂ કરી છે. વાસ્તુદોષ કરાવવાના બહાને જ્યોતિષીઓએ મોટી રકમ પડાવી હતી. ફરિયાદમાં અલગ અલગ જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સોની પરિવારને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય હતો. દુકાન બંધ થતા આર્થિક સ્થિતી કફોડી બની હતી. પરિવારે મકાન વેચી નાખ્યું હતું બાદમાં મંગળ બજારમાં પ્લાસ્ટિકની દુકાન પણ વેચી નાખી હતી. જોકે પ્રાથમિક તારણ અનુસાર, સમગ્ર પરિવાર આર્થિક ભીંસમાં હોવાના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત પ્રયાસ કર્યો હતો. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3 લોકોના તુરંત મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાંથી દિપ્તી સોનીનું પણ હવે મૃત્યુ થઈ ગયું છે.

(1:26 pm IST)